રાહુલ ગાંધીએ આપી ચેતવણી, કોઈને સમસ્યા હોય તો વાત કરો, મીડિયા સામે જશો તો સાંખી નહીં લેવાય
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને દેશમાં ફરી
બેઠું કરવા માટે અનેક પ્રયાસો અને બેઠકો કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં ઘણા
સમયથી નેતૃત્વ અને નવી રણનીતિને લઈને મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને ઘરેલું મામલાઓને લોકો
સુધી લઈ જવા સામે ચેતવણી આપી છે. હૈદરાબાદમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની
બેઠકને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું- જો પાર્ટીના કોઈપણ નેતાને કોઈ સમસ્યા કે
ફરિયાદ હોય તો તેણે પાર્ટીની આંતરિક વ્યવસ્થામાં તે ફરિયાદ નોંધાવવી જોઈએ.
રાહુલ ગાંધીએ ચેતવણી આપતા કહ્યું કે, જો તમને કોઈ ફરિયાદ હોય તો
તમે આંતરિક વ્યવસ્થામાં અવાજ ઉઠાવો. પરંતુ જો કોઈ મીડિયામાં આવીને તેની ફરિયાદ
નોંધાવે છે, તો તેનાથી પાર્ટીની છબી ખરાબ થાય છે અને તેને
સાંખી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ
કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. સંગઠનના નેતૃત્વને લઈને પક્ષમાં બે જૂથો પડી ગયા
છે. એક વર્ગ પાર્ટી નેતૃત્વ એટલે કે સોનિયા ગાંધી, રાહુલ
ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ઊભો છે જ્યારે બીજો જૂથ ઈચ્છે છે કે કોંગ્રેસને
ગાંધી પરિવારમાંથી મુક્ત કરવામાં આવે અને પાર્ટીનું નેતૃત્વ હવે બિન-કોંગ્રેસીના
હાથમાં જાય.
રાહુલ ગાંધીએ કહ્યું- કોંગ્રેસ એક પરિવાર છે અને પરિવારમાં અલગ-અલગ
મંતવ્યો છે. આપણી પાસે RSS જેવું નથી કે જ્યાં એક માણસ બધું નક્કી કરે. અમે
દરેકનો અવાજ સાંભળવા માંગીએ છીએ પરંતુ મીડિયામાં નહીં, બંધ
રૂમમાં જેમ કે પરિવારની વાતો. જો કોઈ ફરિયાદ હોય તો અમારી આંતરિક વ્યવસ્થા છે,
તમારી જે પણ ફરિયાદ હોય, તમે ત્યાં બોલો,
પરંતુ જો કોઈ મીડિયામાં બોલે તો તે પાર્ટીની ઈમેજ બગાડે છે અને અમે
તેને સ્વીકારવાના નથી.