Sabarkantha Accused of beating children! : પ્રાંતિજના મદરેસામાં બાળકો સાથે મારપીટનો આરોપ!
સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) પ્રાંતિજનાં સિનેમા રોડ પર આવેલ એક મદરેસામાં પરપ્રાંતિય 50 જેટલા બાળકો તાલીમ મેળવે છે. જો કે, આ બાળકો પૈકીનાં 36 મદરેસાની જ હોસ્ટલમાં રહેતા હતા. દરમિયાન, આ બાળકો પૈકીનાં 8 અગમ્ય કારણોસર રવિવારે મોડી રાત્રે મદરેસામાંથી ભાગીને પ્રાંતિજ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને રાત્રે કોઇ ટ્રેન ન હોવાને કારણે તથા મદરેસાના (Madrasa) આચાર્ય અને શિક્ષકોના હાથે ઝડપાઇ ન જવાય તે માટે રાત્રે જ અંધારામાં આ 8 જેટલા બાળકો રેલવે ટ્રેક પર ચાલીને ખારી-અમરાપુર રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા હતા. સોમવારે સવારે હિંમતનગરથી અસારવા જતી ટ્રેનમાં બેસી દહેગામ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ અસારવાથી ઉદેપુર જતી ટ્રેનમાં બેસીને હિંમતનગર આવી રહ્યા હતા. ત્યારે હિંમતનગર સ્થિત ગુજરાત રેલવે પોલીસ બાંગ્લાદેશીઓને શોધવા માટે ટ્રેનમાં તપાસ કરી તો આ 8 બાળકો ગભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાત રેલવે પોલીસે તેમનો કબ્જો લઇને પ્રાથમિક પૂછપરછમાં મદરેસાના સંચાલકો દ્વારા માર મારવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તરત જ તેમને રેલવે સ્ટેશન સ્થિત પોલીસ ચોકીમાં લાવી વધુ પૂછપરછ કરી હતી. જે બાદ તેમની શારિરીક તપાસ કરવા માટે હિંમતનગર સિવિલમાં મોકલાયા હતા. દરમિયાન, ગુજરાત રેલવે પોલીસે (Gujarat Railway Police) આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.