યુરોપિયન દેશોમાં ગેરકાયદે શરણાર્થીઓ મુદ્દે UK PM સુનકની ચેતવણી! કહ્યું- જો રોક નહીં લાગે તો...!
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે (Rishi Sunak) યુરોપમાં ગેરકાયદેસર વસાહતીઓ (Illegal Immigrants)ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક દુશ્મનો ઇરાદાપૂર્વક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જેથી તેઓ જાણીજોઈને સમાજને અસ્થિર કરી શકે.
ઋષિ સુનકે વધુમાં કહ્યું કે, જો આ મુદ્દાના ઉકેલ માટે યોગ્ય અને ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઇમિગ્રાન્ટ્સની વધતી સંખ્યા યુરોપિયન દેશોને ભારે પડી શકે છે. બ્રિટન પીએમ સુનકે ઇટાલીમાં યોજાયેલ એક સભાને સંબોધિત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, લોકોના જીવનને જોખમમાં મૂકવા માટે ગુનાહિત ટોળકીઓ સૌથી ખરાબ માર્ગ શોધે છે. તેમણે કહ્યું કે, જો આપણે આ સમસ્યાનો સામનો નહીં કરીએ તો યુરોપમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા સતત વધતી રહેશે.
'વૈશ્વિક શરણાર્થી નિયમોમાં ફેરફારની જરૂરિયાત'
પીએમ સુનકે એમ પણ કહ્યું કે, ગેરકાયદેસર થતા સ્થળાંતર સામે લડવા માટે વૈશ્વિક શરણાર્થી નિયમોમાં ફેરફારની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, જો આપણે અત્યારે આ સમસ્યાનો ઉકેલ નહીં શોધ્યો તો ગેરકાયદેસર સ્થળાંતર થતું રહેશે અને સમસ્યા વધુ વધતી રહેશે. ઉલ્લેખનીય છે કે, બ્રિટન સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક પગલા લીધા છે. જે હેઠળ, બ્રિટનના લોકોને આ અધિકાર મળશે કે તેમના દેશમાં કોણ આવી શકે છે.
આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ખડબડાટ, કહ્યું- આ લોકો આપણા દેશમાં ખૂનમાં ઝેર ભેળવી રહ્યા છે..!