સિદ્ધારમૈયાએ મલ્લિકાર્જુન ખડગેના મોંમાથી પણ આ જ રીતે કોળીયો છીનવ્યો હતો..વાંચો રસપ્રદ વાત
કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા કકળાટ બાદ આખરે કોંગ્રેસ હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના બે મોટા નેતાઓના દાવા બાદ સ્થિતિ સતત વણસી હતી અને ડીકે શિવકુમાર સામે સિદ્ધારમૈયા...
કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા કકળાટ બાદ આખરે કોંગ્રેસ હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના બે મોટા નેતાઓના દાવા બાદ સ્થિતિ સતત વણસી હતી અને ડીકે શિવકુમાર સામે સિદ્ધારમૈયા ફરી એકવાર સૌથી મોટા પડકાર તરીકે ઉભા હતા. કર્ણાટકમાં સિદ્ધારમૈયાનો દબદબો દેખાઈ રહ્યો છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે સિદ્ધારમૈયાનો દબદબો રહ્યો હોય, આ પહેલા પણ 2013માં સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને ડીકે શિવકુમારને હરાવ્યા હતા.
સિદ્ધારમૈયા અને ડીકે વચ્ચે સ્પર્ધા
કર્ણાટકમાં સત્તામાંથી બહાર ફેંકાયા પછી, કોંગ્રેસે ચૂંટણીમાં સખત લડત આપી અને પ્રચંડ બહુમતી સાથે રેકોર્ડ 135 બેઠકો જીતી. આ મોટી જીતનો મહિમા બે નેતાઓના મસ્તક પર શણગારવામાં આવ્યો હતો, પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને બીજા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ડીકે શિવકુમાર અને તેથી જ આ બંને નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે જંગ શરુ થયો હતો.
કોંગ્રેસમાં સિદ્ધારમૈયાનું કદ વધ્યું
સિદ્ધારમૈયાએ દેવેગૌડાની પાર્ટી જેડીએસ સાથે લાંબી રાજનીતિ કરી હતી પરંતુ જ્યારે તેમને લાગ્યું કે એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં તેમને ક્યારેય મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાની તક નહીં મળે ત્યારે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. 2008માં સિદ્ધારમૈયા કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર બાદ પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું. સિદ્ધારમૈયા તેમની અહિંદા એટલે કે દલિતો, મુસ્લિમો અને પછાતની રાજનીતિ માટે જાણીતા છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો હતો. આ પછી કોંગ્રેસમાં સિદ્ધારમૈયાનું કદ સતત વધતું ગયું.
જ્યારે સિદ્ધારમૈયાએ ખડગેને હરાવ્યા હતા
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમે 2013ની યાદો તાજી કરી દીધી છે. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સીએમ રેસમાં આગળ હતા, ત્યારે સિદ્ધારમૈયાએ મોરચો ફેરવ્યો હતો. વર્ષ 2013માં જ્યારે મલ્લિકાર્જુન ખડગેને સીએમ બનાવવાનો મામલો સામે આવ્યો ત્યારે સિદ્ધારમૈયાએ ધારાસભ્યોને પોતાની તરફે લઇ લીધા, જેના પરિણામે કોંગ્રેસે જેડીએસમાંથી આવેલા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ આપ્યું. જ્યારે મલ્લિકાર્જુન ખડગેને રાષ્ટ્રીય રાજકારણમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે ઘણી યોજનાઓ લાગુ કરી, જે લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ. જેમાં ઈન્દિરા કેન્ટીન અને અન્ના ભાગ્ય જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે સિદ્ધારમૈયાનો વિશાળ જન આધાર ઉભો થયો હતો.
બંને નેતાઓ વચ્ચે જૂની દુશ્મનાવટ
કર્ણાટકમાં સીએમ પદ માટે લડી રહેલા બંને નેતાઓ વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. જ્યાં ડીકે શિવકુમાર કોંગ્રેસના વફાદાર નેતા માનવામાં આવે છે અને પાર્ટીને દરેક સંકટમાંથી બહાર કાઢવા માટે કામ કરી રહ્યા છે, ત્યાં સિદ્ધારમૈયાએ તેમની અલગ રાજનીતિના કારણે કોંગ્રેસમાં પોતાનું સ્થાન બનાવ્યું. કહેવાય છે કે 2013માં જ્યારે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તેમણે ડીકે શિવકુમારને પોતાની કેબિનેટમાં સામેલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો, હાઈકમાન્ડના ઘણા પ્રયત્નો બાદ ડીકેને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે હવે ડીકે શિવકુમાર મજબૂતીથી પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે અને સિદ્ધારમૈયાને સીએમ પદ મળે તેવું ઈચ્છતા ન હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement