BJP : ભીખાજી ઠાકોર અને મિતેશ પટેલે આખરે શું કહ્યું
BJP : શુક્રવારે સવારે ગુજરાત BJPના રાજકારણમાં ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વડોદરા અને સાંબરકાંઠાના ભાજપ(BJP)ના ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી દીધી હતી. આ બંને સમાચાર મીડિયામાં આવી રહ્યા હતા ત્યારે ત્રીજા સમાચાર પણ આવ્યા કે આણંદ લોકસભાના ભાજપ (BJP)ના ઉમેદવાર મિતેશ પટેલ પણ ચૂંટણી નહી લડે...આ સમાચારોએ ભાજપના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી દીધી હતી.
ભીખાજી ઠાકોરે પોસ્ટ કરી હતી
સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરી દીધું હતું અને તેમણે પ્રચાર પણ શરુ કરી દીધો હતો પણ અચાનક શું થયું કે વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટની સાથે જ તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી કે હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.જો કે તેમણે થોડા સમયમાં જ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
જે કંઇ ચાલી રહ્યું છે, તે તમામને ખબર છે. જુઠુ ચલાવવામાં આવી રહ્યું છે
આ પહેલા રંજન ભટ્ટે પણ આ જ પ્રકારની પોસ્ટ કરીને કહ્યું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મને વડાપ્રધાને 10 વર્ષ સેવા કરવાની તક આપી. મેં સમર્પિતતાથી સેવા કરી છે. કાર્યકર્તાઓ અને મતદારોએ મને ખુબ પ્રેમ આપ્યો. જે કંઇ ચાલી રહ્યું છે, તે તમામને ખબર છે. જુઠુ ચલાવવામાં આવી રહ્યું છે. મને એમ થયું રોજ ચૂંટણી લડુ ત્યાં સુધી આ જ આવ્યા કરે, તેના કરતા નથી લડવું. હું સ્ટ્રોંગ મહિલા છું, અને આવો નિર્ણય લઇ રહી છું. મારી આંખમાં આસું નથી. ભાજપ અને વડાપ્રધાનનો આભાર માનું છું. વડોદરાની સેવા કરવાની બીજા કાર્યકર્તાને મોકો મળે તેમ ઇચ્છું છું. પક્ષે મને ટીકીટ આપી હતી, મારે નથી લડવી.
મારે સામાજીક ઘણા બધા કામ છે એટલે મે અનિચ્છા દર્શાવી છે
હવે આ મામલે ભીખાજી ઠાકોરનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે હું સંઘ પરિવારનો કાર્યકર્તા છું અને રાષ્ટ્ર માટે કાર્ય કરતી પાર્ટીનો કાર્યકર્તા છું. મારી પાસે ઘણી બધી જવાબદારી છે. હું સહકારી ત્રણ-ચાર સંસ્થામાં છું. મારે સામાજીક ઘણા બધા કામ છે એટલે મે અનિચ્છા દર્શાવી છે.
ઉમેદવાર મિતેશ પટેલ જ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે
આ પ્રકારે આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પણ કહ્યું કે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવા ચાલી રહી છે કે આણંદમાંથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ બદલાય છે. આ અફવા છે. તેમાં ભાજપના કાર્યકરોને અને લોકોને વિનંતી કરીશ કે ઉમેદવાર મિતેશ પટેલ જ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે. મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા હોય ત્યારે આણંદ અને ગુજરાતની 26 બેઠકો 5 લાખથી વધુ મતોથી જીતીશું.
આ પણ વાંચો----- VADODARA :રંજનબેન ભટ્ટની ચૂંટણી લડવાની અનિચ્છા બાદ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સનો મારો
આ પણ વાંચો----- VADODARA : રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું, “મોટા પરિવારમાં નિર્ણયો બદલવા પડે, THANK YOU”
આ પણ વાંચો---- VADODARA : રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, કહ્યું “10 દિવસથી બદનામી થઇ રહી છે, મેં ટીકીટ સમર્પિત કરી”