MoU : આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI) અને બ્લોકચેઈનની મદદથી દેશભરમાં ઈ-નોટરી સિસ્ટમ શરૂ કરવા MoU
MoU : IT અને ટેક્નોલોજી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા નેપબુક્સ લિ.એ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) અને બ્લોકચેઈનની મદદથી દેશભરમાં ઈ-નોટરી સિસ્ટમ (e-Notary system) શરૂ કરવા પહેલ હાથ ધરી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. જે દેશમાં પ્રથમ વખત નોટરાઈઝેશનને ડિજિટાઈઝ બનાવશે.
એઆઈ અને બ્લોકચેઈનની મદદથી પારદર્શિતા જાળવવા આ સિસ્ટમ ઉભી કરી
નેપબુક્સની ઈ-નોટરી સિસ્ટમ લોકોને ઘરેબેઠા ઓનલાઈન નોટરી સાથે સંપર્ક સાધી ઈ-કેવાયસી તથા ડિજીલોકરની મદદથી નોટરીની સેવાઓ પૂરી પાડશે. જે સમયની બચત કરશે. નેપબુક્સ એઆઈ અને બ્લોકચેઈનની મદદથી પારદર્શિતા જાળવવા આ સિસ્ટમ ઉભી કરી રહી છે. જે આગામી 3 વર્ષમાં લોકોને ઓનલાઈન સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ પ્રદાન કરશે.
એમઓયુ પર હસ્તાક્ષર
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની કચેરી, ગાંધીનગરમાં નેપબુક્સના ફાઉન્ડર આશિષ જૈન અને ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર IAS તુષાર વાય. ભટ્ટએ આ એમઓયુ પર 3 જાન્યુઆરી, 2024ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. જે રાજ્યમાં ઈનોવેશન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નેપબુક્સ ગાંધીનગરમાં 75 કરોડના રોકાણ સાથે ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ કરશે
આ કરાર હેઠળ નેપબુક્સ ગાંધીનગરમાં 75 કરોડના રોકાણ સાથે ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ કરશે. જે 2025ના પ્રારંભથી આગામી 5 વર્ષમાં અંદાજિત 100 રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જ્યારે ગુજરાત સરકારે રાજ્યની નીતિઓ-નિયમોને અનુરૂપ જરૂરી મંજૂરીઓ, રજિસ્ટ્રેશન, મંજૂરીઓ અને સંબંધિત વિભાગો પાસેથી મંજૂરીઓ સુનિશ્ચિત કરતાં નેપબુક્સ લિ.ને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. નેપબુક્સ લિમિટેડના ડિરેક્ટર આશિષ જૈને આ અંગે જણાવ્યું હતું કે, “આ એમઓયુ ગુજરાતમાં ડિજિટલ ઈનોવેશનને વેગ તેમજ રોજગારની તકોમાં વધારો કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. અમને વિશ્વાસ છે કે, અમે ટકાઉ આર્થિક વિકાસ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપીશું.”
ઈ-નોટરી (ડિજિટલ નોટરાઇઝેશન)નો પ્રસ્તાવિત પ્રોજેક્ટ
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી ઈ-નોટરી સિસ્ટમ ઉભી કરવામાં આવશે. આ સિસ્ટમનો હેતુ દસ્તાવેજના પ્રમાણીકરણ અને ચકાસણી માટે સુરક્ષિત, કાર્યક્ષમ અને પારદર્શક સોલ્યુશન પ્રદાન કરતાં પરંપરાગત નોટરાઇઝેશન પ્રક્રિયામાં ક્રાંતિ લાવવાનો છે.
ઈ-નોટરીનો લાભ
ભારતમાં પરંપરાગત નોટરાઇઝેશન પ્રક્રિયાઓમાં વારંવાર મેન્યુઅલ પ્રક્રિયાઓનો સામનો કરતો હોવાથી વધુ સમય થતો હોય છે. જેમાં વિલંબ, બિનકાર્યક્ષમતા અને સંભવિત છેતરપિંડી જેવા પડકારો પણ નડે છે. એઆઈ અને બ્લોકચેન અપનાવી એક વિશ્વસનીય અને ટેમ્પર-પ્રૂફ ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમ બનાવવામાં આવશે, જે ડિજિટલ-ફર્સ્ટ નેશનના ભારતના વિઝનને અનુરૂપ છે.
પ્રસ્તાવિત ઈ-નોટરી સિસ્ટમના ઉદ્દેશોઃ
ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફોર્મ પૂરું પાડવું.
કાર્યક્ષમતા વધારવા અને નોટરાઇઝેશન પ્રક્રિયાઓ માટે જરૂરી સમય ઘટાડવા માટે.
દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા.
ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને પેપરલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા.
કાનૂની અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવા.
આ પણ વાંચો-----સ્વતંત્ર ભારત પછી દેશમાં ટેક્સ સિસ્ટમ અને સ્લેબ કેવી રીતે બદલાયા ?