Kesudo Flower Importance: જાણો... હોળીના તહેવાર અને રોજિંદા જીવનમાં કેસૂડાના ફૂલોનું મહત્વ
Kesudo Flower Importance: હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનુ આગવુ મહત્વ રહેલુ છે. ત્યારે હોળી અને ધૂળેટીના તહેવારમાં કેસુડાના ફૂલનુ પરંપરાગત મહત્વ યથાવત જોવા મળે છે. જેમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લામાં કેસુડાના ફૂલનો ધૂળેટીના તહેવાર સહિત આયુર્વેદ અને આધ્યાત્મિક કામોમાં પણ સૌથી વધુ ઉપયોગ થાય છે.
કેસુડો ગ્રામીણ વિસ્તારના માર્ગોની શોભા વધારે છે
વસંતઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ત્યારે ફાગણ મહિના પહેલા જ ઝાલાવાડમાં ઠેર-ઠેર પલાસના વૃક્ષો પર કેસુડાના ફૂલનું આગમન થઈ જાય છે. હોળી-ધૂળેટીનો તહેવાર આવતા પલાસના વૃક્ષો કેસુડાના ફૂલોથી મહેકી ઉઠયા છે. કેસૂડો વન વગડાની અને ગ્રામીણ વિસ્તારના માર્ગોની શોભા વધારે છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન ચોટીલા, પાટડી, ધ્રાંગધ્રા સહિતના તાલુકાના ગામોના રસ્તા પર વૃક્ષો પર કેસૂડાના ફૂલ જોવા મળે છે.
ડૉકટર કેસૂડાનો દવા તરીકે ઉપયોગ કરવાની સલાહ આપે છે
કેસુડાના ફૂલથી સ્નાન કરવાથી અનેરી સ્ફૂર્તિ મળે છે. તો આયુર્વેદિક ફાયદાઓ પણ અનેક છે. જેમાં કેસૂડો કફ માટે પિત્તનાશક પ્રકૃતિ ધરાવતો હોવાથી હોળી આવતા પહેલા બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપે છે. તેમજ કેસૂડાને પાણીમાં પલાળીને તે પાણીનું સેવન કરવાથી કિડનીના દર્દીઓને રાહત થાય છે. આથી ડૉકટર પણ કેસૂડાનો દવા તરીકે ઉપયોગ કરવાની સલાહ આપે છે.
કેસુડાના ફૂલ સૂકવીને તેનો પાવડર પણ બને છે
ધુળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી યુવાનો અને બાળકો સહિત મહિલાઓ ધુળેટીની ઉજવણી કરે છે. બજારના પાકા અને કેમિકલ યુક્ત કલરોનો ઉપયોગ કરવાથી લોકોને આંખ તેમજ ચામડીના રોગો થવાની શક્યતા રહે છે. પરંતુ કેસુડાના કલરથી કોઈ જ નુકશાન થતુ નથી. તેથી લોકો નાના બાળકોને કેસુડાના પાણીથી સ્નાન પણ કરાવે છે. તેમજ કેસુડાના ફૂલ સૂકવીને તેનો પાવડર પણ બનાવે છે. આ ઉપરાંત હોળી ધૂળેટીના પર્વ પર મંદિરોમાં ભગવાનને કેસુડાના ફૂલનો શણગાર કરવામાં આવે છે. તે સાથે તે ફૂલના પાણીનો અભિષેક પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Surat CR Patil News: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના વરદહસ્તે વૈદિક હોળીનું આયોજન કરાયું
આ પણ વાંચો: Chhotaudepur BJP News: ભાજપના નેતાઓએ બૂટલેગરનું જાહેર મંચ પર સન્માન કરતાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: Ahmedabad : 25 કરોડની જમીન પચાવવાનો ખેલ ખેલનારા રૂપાણી સામે આખરે ફરિયાદ