Dwarka: કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂનમનાં દિવસે દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી
Dwarka: હિંદુ ધર્મમાં પૂર્ણિમાનું ખુબ જ મહત્વ હોય છે. પૂર્ણિમાના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે દ્વારકામાં આજે પૂનમનાં દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે અસહ્ય ગરમી પડી રહીં છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે પણ ભક્તો ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. કહેવત છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’ એમ કાનુડા પર ભરોષો રાખીને ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે.
ગોમતી નદીમાં સ્નાન કરવું ખુબ જ પવિત્ર
મળતી વિગતો પ્રમાણે ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે. ગોમતી નદીમાં સ્નાન કરવું ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે, ગોમતી નદીને ભારતની પવિત્ર નદીઓમાંની એક ગણવામાં આવે છે. તેથી ભક્તો પણ કાનુડાની કૃપા પામવા માટે ગોમતીમાં સ્નાન કરવા માટે જાય છે. એવું રહેવાય છે કે, દ્વારકા ગયા હોઈએ અને જો ગોમતીમાં એક ડૂબકી ના મારીએ તો દર્શન અધૂરા કહેવાય!
ઉનાળું વેકેશન માણવા ભક્તોની પહેલી પસંદ દ્વારકા નગરી
અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બીજી તરફ આજે પૂર્ણિમા પણ છે તો, પૂનમ ભરવા યાત્રિકો દૂર દૂરથી દ્વારકા નગરીમાં આવી આવી રહ્યાં છે. દ્વારકા આવીને જગત પિતા કાળિયા કૃષ્ણના દર્શન કરીને ભાવિ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આજે પણ મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા દર્શન કરવા માટે આવી રહ્યાં છે.
જગત પિતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શને આવે છે લાખો ભક્તો
નોંધનીય છે કે, દ્વારકામાં આવેલા કૃષ્ણ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે.અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લેતા હોય છે. એટલું જ નહીં પરંતુ દ્વારકાધીશ મંદિરમાં પ્રભુની મુર્તિની માત્ર એક ઝલક નિહાળવા માટે કલાકો સુધી ભક્તો લાઈનમાં પણ ઉભા રહેતા હોય છે.