પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું મંગળવારે રાત્રે લગભગ 8.28 કલાકે નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. મોહાલીની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હવે ભટિંડા જિલ્લાના બાદલ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ તેમના પુત્ર છે. પ્રકાશ સિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર, 1927ના રોજ પંજાબના એક નાનકડા ગામ અબુલ ખુરાનાના જાટ શીખ પરિવારમાં થયો હતો.
પ્રકાશસિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફ થતાં એક સપ્તાહ પહેલા મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા હતા. પ્રકાશસિંહ બાદલને સોમવારે ICU માં રાખવામાં આવ્યા હતા. સોમવારે સાંજે જાહેર થયેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું હતું કે, પ્રકાશસિંહ બાદગ હાલ આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ છે.
27મી એપ્રીલે થશે અંતિમ સંસ્કાર
શિરોમણી અકાલી દળના નેતા દલજીત ચીમાએ જણાવ્યું કે, પ્રકાશ સિંહ બાદલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 10 વાગ્યે ચંદીગઢના સેક્ટર 28 સ્થિત શિરોમણી અકાલી દળના હેડક્વાર્ટરમાં લાવવામાં આવશે. આ પછી, બપોરે 12 વાગ્યે, તેમના પાર્થિવ દેહને ચંદીગઢથી રાજપુરા, પટિયાલા, બરનાલા, રામપુરા ફૂલ, ભટિંડા થઈને બાદલના ગામમાં લઈ જવામાં આવશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે 1 વાગ્યે બાદલ ગામમાં કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રકાશસિંહ બાદલના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે,
શ્રી પ્રકાશસિંહ બાદલજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ ભારતીય રાજનીતિના પ્રચંડ વ્યક્તિ હતા, અને એક નોંધપાત્ર રાજનેતા હતા જેમણે આપણા રાષ્ટ્ર માટે ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને નિર્ણાયક સમયમાં રાજ્યનું સંચાલન કર્યું.
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે,
શ્રી પ્રકાશસિંહ બાદલનું નિધન મારા માટે વ્યક્તિગત ખોટ છે. હું ઘણા દાયકાઓથી તેમની સાથે નજીક રહ્યો છું અને તેમની પાસેથી ઘણું શીખ્યું છે. મને અમારી અસંખ્ય વાતચીતો યાદ છે, જેમાં તેમનું શાણપણ હંમેશા સ્પષ્ટપણે જોવા મળતું હતું. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના.
2022માં ચૂંટણી હાર્યાં હતા
પ્રકાશસિંહ બાદલ 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેઓ સૌથી વૃદ્ધ ઉમેદવાર હતા. તેઓ પ્રથમ વખત ચૂંટણી હારી ગયા હતા. આ પછી તેમણે રાજકારણથી એકતરફી અંતર જાળવ્યું હતું. તેમણે વર્ષ 1947માં રાજનીતિની શરૂઆત કરી હતી. સરપંચથી લઈને સીએમ સુધીની સફર કરી હતી. તેમણે 1957માં પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી. આ પછી તેઓ 1969માં ચૂંટણી જીત્યા. આ પછી તેઓ 1970-71, 1977-80, 1997-2002માં પંજાબના સીએમ રહ્યા. સંસદસભ્યો પણ ચૂંટાયા.
આ પણ વાંચો : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટનાં શરણે