DEVGADH BARIYA : જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી માટે વનવિભાગ દ્વારા સુવિધા કરાઇ
DEVGADH BARIYA : ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેથી જંગલ વિસ્તારમાં વસતા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે જંગલ નજીક કોઈ નદી, કોતર કે તળાવ તેમજ પાણી માટે અન્ય કોઈ સ્ત્રોત નહીં મળતા વન્યપ્રાણીઓ માનવ વસ્તી તરફ ઘસી આવતા હોય છે અને ઘણીવાર માનવ અને વન્યજીવ ઘર્ષણ થવાના બનાવો પણ બનતા હોય છે. જેથી આવા બનાવોમાં ઘટાડો થાય તે માટે વન વિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર એમ પરમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ બારીયાના પરિક્ષેત્ર વનાધિકારી આર.એમ પુરોહિત અને સ્ટાફના વનકર્મીઓ દ્વારા દેવગઢબારીયા તાલુકાના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે કૃત્રિમ પાણીના ૫૦ જેટલા અલગ અલગ સ્ત્રોતો ને દર અઠવાડિયે સફાઈ કરી પાણી ભરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
દેવગઢબારીયા રેન્જમાં કુલ 6500 હેક્ટર અને સાગટાળા રેન્જમાં 8600 હેકટર જમીન જંગલ વિસ્તારમાં આવેલ છે. જેમાં કેટલીય જાતના વન્યપ્રાણી અને પક્ષીઓ વસવાટ કરતા હોય છે. ઉનાળામાં પીવાનું પાણી મળવું મુશ્કેલ હોય ત્યારે પાણી માટે વન્ય પશુપક્ષી વલખા મારતા હોય છે. વન વિભાગ બારીયા દ્વારા દેવગઢ ડુંગર વિસ્તાર સહીત ઉંચવાણ, મેન્દ્રા, કુવા, સિંગોર,પંચેલા, અસાયડીના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તેને માટે 50 જેટલાં હવાડા બનાવવા માં આવ્યા છે.અને વન્ય પ્રાણીઓની હાજરી ચકાસવા ટ્રેપ કેમેરા પણ મૂકવામાં આવે છે જે વન્યપ્રાણી પાણીના સ્રોત પર પાણી પીવા આવે ત્યારે તેના બોડી ટેમ્પરેચર પરથી ઓટોમેટિક તેનો ફોટો પડી જાય છે .
આમ સમગ્ર ઉનાળા દરમિયાન દેવગઢબારીયા તાલુકા ના જંગલ વિસ્તારમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો પાણીથી ભરેલા રહે તે માટે દરેક રેન્જના આર એફઓને સુનિશ્ચિત જવાબદારી સોંપવામાં આવેલ હોવાનું વન વિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર એમ પરમારે જણાવ્યું હતું.
અહેવાલ : ઈરફાન મકરાણી
અહેવાલ : લૉ ગાર્ડન ખાતે વેપારીઓએ અને GPBOના ઉદ્યોગ સાહસિકોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા