Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેમિકલ, દેશી દારુ, લઠ્ઠાકાંડ અને દારુબંધી!

ગઈકાલ સાંજ પહેલા કોઈએ રોજિદ, ચદરવા, દેવગણા, આકરુ, ઉંચડી, વેજળકા, પોલારપુર, રાણપરા, ખડ, વહિયા, ભીમનાથ, નભોઈ, ચોકડી, કોરડા, બરવાળા આ નામ ખાસ નહોતા સાંભળ્યા. આ અલગ-અલગ ગામના નામો છે જેમાં કુલ મળીને 31 લોકોના મોત થયા છે. ગઈકાલે બપોરે ત્રણના મોતની વાત આવી. બીજે દિવસે સવાર સુધીમાં આ આંકડો 31 પર પહોંચી ગયો. હજુ ધંધૂકા અને અમદાવાદની હૉસ્પિટલમાં કેટલાંક લોકો ગંભીર હાલતમાં છે જેમની સારવાર ચાલી રહી છે.
કેમિકલ  દેશી દારુ  લઠ્ઠાકાંડ અને દારુબંધી
ગઈકાલ સાંજ પહેલા કોઈએ રોજિદ, ચદરવા, દેવગણા, આકરુ, ઉંચડી, વેજળકા, પોલારપુર, રાણપરા, ખડ, વહિયા, ભીમનાથ, નભોઈ, ચોકડી, કોરડા, બરવાળા આ નામ ખાસ નહોતા સાંભળ્યા. આ અલગ-અલગ ગામના નામો છે જેમાં કુલ મળીને 31 લોકોના મોત થયા છે. ગઈકાલે બપોરે ત્રણના મોતની વાત આવી. બીજે દિવસે સવાર સુધીમાં આ આંકડો 31 પર પહોંચી ગયો. હજુ ધંધૂકા અને અમદાવાદની હૉસ્પિટલમાં કેટલાંક લોકો ગંભીર હાલતમાં છે જેમની સારવાર ચાલી રહી છે. સૌથી પહેલાં બહાર આવ્યું કે, દેશી દારુ પીધો છે. પછી આવ્યું કે લઠ્ઠો પીધો છે. આજે સવારે આવ્યું કે મિથાઈલ આલ્કોહોલ- મિથેનોલ ડાયરેક્ટ પીવાથી ઝેરી અસર થઈ અને લોકો મોતને ભેટ્યા. મીડિયાનો કાફલો દરેક ગામમાં રિપોર્ટર અને કેમેરામેનના ધાડાં સાથે ઉતરી ગયો છે. નેશનલ ચેનલથી માંડીને દરેક લોકલ ચેનલ પર અને ન્યૂઝ વેબસાઈટમાં એકસામટાં મોતના સમાચારો ફલેશ થયે રાખે છે.  
પોલીસ સફાળી જાગી અને દેશી દારુના અડ્ડા ઉપર ધડાધડ તૂટી પડી. ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી અને દેશી દારુના વ્યવસાયીઓની ધરપકડ થવા માંડી. રોજિદ ગામના યુવાન સરપંચ જિગરે કહ્યું કે, હું ફરિયાદ કરું તો મારી ફરિયાદ કોઈ સાંભળતું નથી. દારુ પીધેલા લોકોને પકડીને પોલીસ પાસે લઈ જાઉં છું તો એને પોલીસ છોડી દે છે.  
એકસાથે મોત થયાં અને તંત્ર દોડવા લાગ્યું. તપાસની સાથોસાથ રાજકારણ પણ ખેલાવા લાગ્યું. આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે બધાંને પોતાની વોટબેંકથી માંડીને મતોને અંકે કરી લેવા છે. આ સામાન્ય ચલણ રહ્યું છે અને આ જ રહેવાનું છે. થોડાં દિવસો તપાસનો ધમધમાટ ચાલશે. ધરપકડ થશે. તંત્રના કરડી નજર રહેશે એટલો સમય બધું બંધ રહેશે. પછી બધું જ રાબેતા મુજબ ચાલુ થઈ જવાનું છે. આપણને આ રાબેતા મુજબની એટલી આદત લાગી ગઈ છે કે, ગેરકાયદે હોય એની પણ આપણને પરવા નથી હોતી. આટલી મોટી ખુવારી થઈ પછી જો તંત્ર બધું જો શોધી લેતું હોય, કેમિકલના મૂળ અને કૂળ સુધી પહોંચી જતું હોય તો આ બધું થાય એ પહેલા બધા ક્યાં હતા?  
ગેરકાયદે બિઝનેસ ચાલતો હોય કે ગેરકાયદે દારુનું વેચાણ ચાલતું હોય કોઈ તંત્રને જાણ કરે તો ભાગ્યે જ એની સલામતી જોવામાં આવે છે. એ વ્યક્તિની સલામતી જોખમાય તો પણ એ વિનંતી કરીને થાકી જાય તો નથી એ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પગલાં લેવાતાં કે નથી એ વ્યક્તિની સલામતી કરી શકાતી. સરવાળે જાગૃત્ત નાગરિક આંખ આડા કાન કરીને પોતાની જિંદગીની રફતાર ચલાવે છે.  
ગયા અઠવાડિયે જ ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યું કે, ન્યાયાધીશ એની કારકિર્દીમાં ગુનેગારોને આકરી સજા ફરમાવે. કાયદાની દ્રષ્ટિએ યોગ્ય પગલાં લઈ ગુનેગારોને જેલમાં ધકેલે છે. પરંતુ, રિટાયરમેન્ટ પછી જે તે જજને રક્ષણ મળતું નથી. આપણી લોકશાહીની આ કેવી irony છે જે સચ્ચાઈ બયાન કરે છે.  
જે મરી ગયા છે એમના પરિવારજનો પ્રત્યે રાજકારણીઓ સહાનુભૂતિ વ્યક્ત કરશે, આપણને પણ એ પરિવારજનો પ્રત્યે સંવેદના થઈ આવે. આ પરિવારજનોની નજીકના લોકો સાંત્વના આપશે. બધું જ થશે. પણ ફરી એનું એ જ ચક્કર રાબેતા મુજબ.... 
આ સમયે એક કિસ્સો યાદ આવે છે. એક મિનિસ્ટર હતા. એમને એસિડીટીની સમસ્યા હતી. ગાંધીનગરમાં એમણે પોતાના કર્મચારીને કહ્યું કે, થેલી લઈ આવી દે. થોડીવારમાં પેલો માણસ આવ્યો અને સાહેબના ટેબલ પર પોટલી મૂકી. પેલા મિનિસ્ટરે પૂછ્યું કે, આ શું છે? તો પેલા કર્મચારીએ નિખાલસતાપૂર્વક કહ્યું તમે કહેલું ને કે થેલી લઈ આવી દે... આ રહી થેલી. પેલા સિનિયર મિનિસ્ટરે કહ્યું, ભાઈ મારે દૂધની થેલી જોઈએ છે. એસિડીટી થઈ છે એટલે દૂધ પીવું છે. આ વાસ મારતી થેલીને તું અહીંથી લઈ જા.  
ગુજરાતમાં દારુબંધી ખરી. પણ કહેવા પૂરતી છે એ વાત એક ઓપન સિક્રેટ છે. અહીં કટાણે તમને દૂધની થેલી જોઈએ તો રુબરુ લેવા જવું પડે પણ લિકરની હોમ ડિલીવરી થાય છે. નીચેથી માંડીને ઉપર સુધી હપ્તાનું તંત્ર એટલું વ્યવસ્થિત છે કે, કોઈ કંઈ કરી શકે એમ નથી. આ વાત પણ સર્વવિદિત્ છે. ડાયમંડ અને ટેક્સટાઈલની નગરીમાં સૌને ખબર છે કે, એક વિસ્તાર છે જ્યાં છૂટથી વિદેશી-દેશી શરાબનું વિતરણ થાય છે. કોઈ ચમરબંધી નથી જે આ બંધ કરાવી શકે. હવે આ બધું એટલું સર્વસ્વીકાર્ય બની ગયું છે કે, આ પ્રકારનો લઠ્ઠાકાંડ થાય ત્યારે જ તંત્ર સફાળું જાગે છે.  
મને યાદ છે, દક્ષિણ ગુજરાતમાં એક ઝુંબેશ ચાલી હતી. અનેક ગામોમાં વિધવા સ્ત્રીઓની સંખ્યા વધી રહી હતી. મોટાભાગના કિસ્સાઓમાં દેશી દારુને કારણે મોત થતાં હતાં. આ ઝુંબેશમાં ગામેગામની સ્ત્રીઓ જ એકઠી થઈને તંત્રની મદદ વગર દેશી દારુની ભઠ્ઠીઓ પર રેડ પાડતી. એ દારુને વહાવી દેતી અને ભઠ્ઠી તોડી પાડતી. આ લેખ કરવા માટે હું ગયેલી ત્યારે એક ગામના નદીના પટમાં પડેલી રેડની હું સાક્ષી રહી હતી.  
અગાઉ પણ ગુજરાતમાં એક લઠ્ઠાકાંડ થયેલો. એક સાપ્તાહિકના કવર ઉપર મુંડન કરેલા પચાસ માથાં જોઈને ભલભલાં લોકો થીજી ગયા હતા. એ પછી પણ આ બે દિવસમાં બનેલી ઘટના શું સૂચવે છે? વાંચનારાઓ કદાચ વધુ સમજુ છે....   
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.