પહેલવાનોને સરકારની હૈયાધારણા, 15 જુન સુધી આંદોલન મોકુફ પણ...
કુસ્તીબાજો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથેની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ સાક્ષી મલિકે કહ્યું હતું કે, સરકારે પોલીસ તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કુસ્તીબાજો પ્રદર્શન નહીં કરે. બજરંગ, રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને તેના કુસ્તીબાજ પતિ સત્યવ્રત કાદિયાન બુધવારે સવારે અનુરાગ ઠાકુરના ઘરે મીટિંગ માટે પહોંચ્યા હતા.
સ્તીબાજો સાથે સમાધાન કરવા માટે સરકારે તેના પ્રયાસો યથાવત રાખ્યા છે.
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાના નેતૃત્વમાં કુસ્તીબાજોએ ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડને લઈને આંદોલન કરી રહેલા કુસ્તીબાજો સાથે સમાધાન કરવા માટે સરકારે તેના પ્રયાસો યથાવત રાખ્યા છે. આ ઘટનાક્રમમાં જ આ બેઠક યોજાઈ હતી.
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે શું કહ્યું
બેઠક બાદ મીડિયાને સંબોધતા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કુસ્તીબાજો સાથે સકારાત્મક વાતચીત થઈ છે. સરકારે તમામ વિષયો પર ખુલીને વાત કરી છે. કુસ્તીબાજો 15 જૂન સુધી પ્રદર્શન નહીં કરે. ખેલાડીઓએ કેસ પાછો ખેંચવાની માંગ કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મહિલા કુસ્તીબાજોને સુરક્ષા આપવામાં આવશે.
સરકારે 15 જૂન સુધીમાં પોલીસ કાર્યવાહી પૂર્ણ કરવાનું કહ્યું છે. પ્રદર્શનમાં ભાગ લેનાર મહિલા અને પુરૂષ ખેલાડીઓની સુરક્ષા અંગે પણ વાત કરી છે અને 28મી મેની રાત્રે અમારી સામે નોંધાયેલા તમામ કેસ પરત ખેંચવાની પણ વાત કરી છે.
આ બેઠક પહેલા કુસ્તીબાજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા હતો. એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજો ફરી 23 એપ્રિલથી જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા અને કથિત જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા બ્રિજ ભૂષણની ધરપકડની માંગણી કરી હતી.