એવું તો શું થયું કે તમિલનાડુના ઉર્જા મંત્રી માથું પકડીને રડવા લાગ્યા, ED સામે કર્યો આવો 'ડ્રામા'
દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) નેતા અને તમિલનાડુના વીજળી મંત્રી વી સેંથિલ બાલાજીને ઈડીએ બુધવારે કસ્ટડીમાં લીધા ત્યારબાદ જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. અધિકારીઓ તેને પોતાની સાથે લઈ જવા લાગ્યા કે તરત જ તે જોર જોરથી માથું પકડીને રડવા લાગ્યા હતા. એક દિવસ પહેલા જ EDએ મંત્રી સાથે સંકળાયેલા પરિસર પર દરોડા પાડ્યા હતા. આ પછી ED તેને મેડિકલ તપાસ માટે ચેન્નાઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
મહત્વનું છે કે, મની લોન્ડરિંગ કેસના સંબંધમાં બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તમિલનાડુના વીજળી પ્રધાન વી સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ સેંથિલ બાલાજી પોક મૂકીને રડવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે છાતીમાં ખૂબ દુખાવો થયાની ફરિયાદ કરી હતી. તબિયત બગડ્યા પછી તેમને ઓમંદુરારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અત્રે જણાવવાનું કે સેંથિલ બાલાજી એક શક્તિશાળી ડીએમકે નેતા છે અને તેમની પાસે સ્ટાલિન કેબિનેટમાં ઈલેક્ટ્રિસીટી, પ્રોહિબિશન અને એક્સાઈસ ખાતા છે.
તમને જણાવી દઈએ કે, ધરપકડ બાદ તેમના સમર્થકોએ હોસ્પિટલની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ED વિરુદ્ધ સૂત્રોચ્ચાર થવા લાગ્યા. જ્યારે તેમના સમર્થકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ઉર્જા મંત્રી કારમાં આડા પડ્યા હતા અને વિલાપ કરતા જોવા મળ્યા હતા. ડીએમકેના સાંસદ અને વકીલ એનઆર એલાંગોએ જણાવ્યું કે સેંથિલ બાલાજીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
બાલાજીને પરેશાન કરવામાં આવી રહ્યા છે : એસ રઘુપતિ
તમિલનાડુના કાયદા મંત્રી એસ રઘુપતિએ કહ્યું કે, સેંથિલ બાલાજીને નિશાન બનાવીને હેરાન કરવામાં આવ્યા હતા. EDએ તેમની સતત 24 કલાક પૂછપરછ કરી હતી. આ સંપૂર્ણપણે માનવ અધિકાર વિરુદ્ધ છે. ડીએમકેના રાજ્યસભા સાંસદ એનઆર એલાંગોએ કહ્યું કે બાલાજીને નજરકેદ કરવામાં આવ્યા હતા. 14મી જૂને સવારે 2.30 વાગ્યા સુધી તેમને તેમના કોઈ મિત્ર, સંબંધી અને તેમના વકીલને મળવા દેવાયા ન હતા.
ડીએમકેએ લગાવ્યો આરોપ
ડીએમકેએ સેંથિલ બાલાજીના ઘર અને ઓફિસ પર દરોડા બાદ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને વિપક્ષી નેતાઓ જોડે બદલો લેવા માટે આઈટી વિભાગ જેવી એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ડીએમકેના આયોજન સચિવ આર એસ ભારતીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ડીએમકે નેતાઓ વિરુદ્ધ કામ કરી રહી છે. કારણ કે તે રાજ્યમાં ડીએમકે અને તેમના નેતાઓની લોકપ્રિયતા પચાવી શકતી નથી. બીજી બાજુ તમિલનાડુના ખેલમંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે અમે આ મામલે કાનૂની મદદ લઈશું.
આ પણ વાંચો : Cyclone Biperjoy ના સંભવિત સંકટ સામે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી