Gandhinagar : રુપાલમાં પરંપરા મુજબ આજે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી
- ગાંધીનગરના રૂપાલ ખાતે પલ્લી રથ નીકળશે
- વરદાયીની માતાનો પલ્લી રથ નીકળશે
- મોટી સંખ્યામાં ભાવિકભક્તો પધારશે
- વર્ષો જુની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવાશે
- વહીવટ તંત્ર પણ પલ્લીની વ્યવસ્થાઓ સંભાળશે
Gandhinagar : ગાંધીનગરના રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે આજે વરદાયીની માતાજીની પલ્લી ભરાશે. રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળશે. વર્ષો જુની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવાશે. આ વર્ષે પલ્લી પર 25 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઘીનો અભિષેક થવાનો અંદાજ છે. પલ્લીમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાશે.
પાંડવોએ પલ્લીની પ્રથા શરૂ કરી
ગાંધીનગરના રુપાલમાં વર્ષોની પરંપરા મુજબ આજે રાત્રે નોમના દિવસે વરદાયીની માતાજીની પલ્લી નિકળશે. પ્રથમ નોરતે મંદિર ખાતે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. રૂપાલમાં વરદાયિની માતાજીના મંદિરેથી પાંડવોએ પલ્લીની પ્રથા શરૂ કરી હતી. ત્યારથી પરંપરાગત રીતે દર વર્ષે નવરાત્રિમાં નોમની રાત્રે પલ્લી નીકળે છે. જેમાં હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.
આ પણ વાંચો---Navratri 2024: શનિને નિયંત્રિત કરવા માટે કરો માતા કાલરાત્રિની પૂજા, જાણો વિધિ
ભગવાન રામ સાથે પણ જોડાયેલી છે કથા
ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ તેમના પિતાની આજ્ઞા મુજબ 14 વર્ષના વનવાસે નીકળ્યા હતા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી ભાઈ લક્ષ્મણ તથા સીતામાતા સાથે શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારે શ્રી વરદાયીની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન રામને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. ભગવાન શ્રીરામે એ જ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો
પલ્લી એટલે માતાજીનો રથ
પલ્લી એટલે માતાજીનો રથ એવો અર્થ થાય છે જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક રુપે જ્યોત પ્રગટતી હોય છે. પાંડવોના સમયથી શરુ થયેલી પલ્લીની પરંપરા આજે પણ યથાવત છે. રૂપાલ વરદાયિની માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત પલ્લીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પલ્લી પર ઘીનો અભિષેક થાય છે પાલ ગામમાં પલ્લી નીકળે ત્યારે શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
આ પણ વાંચો---Navratri: નોમના દિવસે જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ
લાખો માઇ ભક્તો રુપાલમાં ઉમટી પડે છે
નોમની રાત્રે યોજાતી પલ્લીના દર્શન કરવા લાખો માઇ ભક્તો રુપાલમાં ઉમટી પડે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના ધસારાને જોતાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પલ્લીમાં વણકર ભાઇઓ પલ્લી માટે ખીજડો કાપે છે તો સુથાર ભાઇઓ પલ્લી બનાવે છે. વાળંદભાઇઓ વરખડાના સોટા બાંધે છે અને કુંભાર ભાઇઓ કૂંડા તૈયાર કરે છે. માળી ભાઇઓ ફુલોથી શણગાર કરે છે અને પંચોળી ભાઇઓ માતાજીના નિવેદ માટે સવા મણ ખીચડો તૈયાર કરે છે અને ક્ષત્રિય ચાવડા ભાઇઓ ખુલ્લી તલવાર સાથે પલ્લીની રક્ષા કરે છે. ત્રિવેદી ભાઇઓ પલ્લીની પૂજા કરે છે અને પાટીદાર ભાઇઓ પલ્લીના પૂજા આરતી કરીને પલ્લીના કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે.
અહીં ઘીને ખુલ્લામાં જ મૂકવામાં આવે છે
અહીં માતાજીનું સત છે કે, જે ટ્રેક્ટરમાં ઘી લાવવામાં આવે છે, તેને કીડી કે કૂતરું પણ સૂંઘી નથી શકતું. આ ઘીને કોઈ ઘરે પણ લઈ જઈ શકતા નથી, તેમજ અહીં ઘીને ખુલ્લામાં જ મૂકવામાં આવે છે. તેમજ અહીંથી કોઈ એક લોટો પણ ઘી લઈ જઈ નથી શકતું. ફક્ત અમુક સમાજના લોકો જ ઘી લઈ જઈ શકે છે. કહેવાય છે કે પલ્લીમાં જોડાયેલા લોકો કે ભક્તો અને તેના કપડાં ઘી વાળા થઈ જાય છે પરંતુ તે કપડાં ધોતાં જ તેની ચિકાશ દૂર થઈ જાય છે અને કોઈ ડાઘ પણ રહેતો નથી.
આ પણ વાંચો---Ramayan- ઊર્મિલા એટલે રામાયણમાં ત્યાગની પરાકાષ્ઠા