VADODARA : કોર્પોરેટરના પતિએ લાફો માર્યા બાદથી પાલિકા કર્મીઓની હડતાલ જારી
VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકાના વોર્ડ નં - 15 ના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાના પતિ દ્વારા પાલિકાના એન્જિનિયરને લાફો મારી દેવામાં આવ્યો હતો. જે બાદથી પાલિકાના એન્જિનિયરોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને વિરોધમાં તેમણે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ વચ્ચે આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટેની પુરતી કાળજી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં સુધી લેખિતમાં અથવા તો સક્ષમ અધિકારી દ્વારા મૌખિતમાં બાંહેધારી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. (VMC OFFICER ON STRIKE AFTER CORPORATOR HUSBAND SLAP - VADODARA)
સૌ સાથે મળીને કામ કરીએ
પાણી પૂરવઠા વિભાગના HOD ધાર્મિક દવેએ મીડિયાને જણાવ્યું કે, હડતાલ જારી છે, પરંતુ આવશ્યક સેવાઓ પણ ચાલુ રાખવામાં આવી છે. ફાયર, પાણી, ડ્રેનેજની સુવિધા ચાલુ છે, ફક્ત ઓફિસનું કામ બંધ કરવામાં આવ્યું છે. અમારી માંગણી સંતોષાશે એટલે અમે કામ પર પરત ફરીશું. અમારી માંગણી છે કે, કામ કરવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે, આવી ઘટના બંધ થાય, સૌ સાથે મળીને કામ કરીએ, તે બાબતની રજુઆત કરી છે. અમને લેખિત અને ચોક્કસ સ્થળેથી મૌખિક બાંહેધારી આપવામાં આવશે તો તેને સ્વિકારમાં આવશે. ફરિયાદ લખાવવામાં આવી છે. તેના અનુસંધાને વધુ કાર્યવાહી નથી થઇ, તે અંગે પણ કાર્યવાહી થવી જોઇએ.
કોઇ ભયનો માહોલ નથી
વધુમાં જણાવ્યું કે, જે ઘટના ઘટી છે, તે ઘટનાના અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા જરૂરી કલમો લગાડવી જોઇએ. અમારે બાઉન્સરોની જરૂર નથી. શહેરમાં રોજ કામ કરીએ છીએ. કોઇ ભયનો માહોલ નથી. આ ઘટના દુખદ છે. આ ઘટના અન્ય કોઇની જોડે પણ થઇ શકે છે. સૌ ની માંગ છે કે, આ પ્રકારની ઘટના અન્ય કોઇ જોડે ના ઘટે તેવું થવું જોઇએ. આ અંગે અમે ચેરમેનને રજુઆત કરી છે, આજે સાંજે અમે મેયરને મળીને તેની રજુઆત કરવાના છીએ. કામ થાય છે, જેમ જેમ ફરિયાદો મળે છે, તેનું નિરાકરણ થાય છે. અમને મળતી ફરિયાદોનો પ્રક્રિયા અનુસાર નિકાલ લાવવામાં આવે છે.
આ પણ વાંચો --- VADODARA : પાણીનો વેડફાટ રોકવા ઉપવાસ પર ઉતરવાની ચીમકી