હિમાચલ કોંગ્રેસમાં ફરી ખળભળાટ, કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું
VIKRAMADITYA SINGH RESIGN : હિમાચલ પ્રદેશમાં હવે નવો રાજનૈતિક ભૂકંપ આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સુખુ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જો કે, વિક્રમાદિત્યએ પાર્ટી હાઈકમાન્ડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે તેમના મંતવ્યો સાંભળશે. હવે હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસની સુખુ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.
ધારાસભ્યોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે - વિક્રમાદિત્ય સિંહ
તેમણે પત્રકાર પરિષદમાં કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસની નીતિઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ક્યાંકને ક્યાંક ધારાસભ્યોની અવગણના કરવામાં આવી છે, ધારાસભ્યોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના કારણે આજે અમે આ કિનારે ઉભા છીએ..
વધુમાં તેમણે કહ્યું હતું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે સ્થિતિ યોગ્ય નથી. હાલની સ્થિતિમાં આ સરકારમાં ચાલુ રહેવું મારા માટે યોગ્ય નથી, તેથી હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું આવનારા સમયમાં વધુ પગલાઓ પર વિચાર કરીશ.
મને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો - વિક્રમાદિત્ય સિંહ
તેમણે મુખ્યમંત્રી સુખુની કાર્યશૈલી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે મારે દુખ સાથે કહેવું છે કે મંત્રી તરીકે મને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, વિભાગમાં જે પ્રકારના મેસેજ મોકલવામાં આવે છે, અમને નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. . સૌના સામૂહિક પ્રયાસોથી સરકાર બની હતી. હું કોઈ દબાણમાં આવવાનો નથી.
પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા વિક્રમાદિત્ય સિંહ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિક્રમાદિત્ય સિંહ પણ પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેણે તેના પિતાની સરખામણી છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી હતી. તેમણે કહ્યું કે આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામે થઈ હતી. ભારે હૃદય સાથે મારે કહેવું છે કે હિમાચલમાં જે વ્યક્તિના કારણે કોંગ્રેસની સરકાર બની હતી તેની પ્રતિમા સ્થાપિત કરવા માટે શિમલાના મોલ રોડ પર 2 યાર્ડ જમીન આપવામાં આવી નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
ધારાસભ્યો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની કાર્યશૈલીથી 'નિરાશ' છે
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. થોડા કલાકો બાદ પક્ષની ટોચની નેતાગીરી અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવવા માટે સક્રિય થઈ ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વરિષ્ઠ નેતાઓ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ડીકે શિવકુમારને છ ધારાસભ્યો સાથે વાત કરવા માટે નિયુક્ત કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ છ ધારાસભ્યો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની કાર્યશૈલીથી 'નિરાશ' છે અને તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો -- Rajya Sabha Election : ભાજપે રાજ્યસભામાં કર્યો મોટો ઉલટફેર, NDA પહોંચી બહુમતની નજીક