વર્લ્ડ કપ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે લીધો સન્યાસ લેવાનો નિર્ણય
ભારતમાં વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યો છે, જેમા ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને સેમી ફાઈનલ માટે ટિકિટ મેળવી છે. જણાવી દઈએ કે ભારત તેની સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે રમશે. ટીમ ઈન્ડિયા આ મેચ ન્યૂઝીલેન્ડ સામે વાનખેડે મેદાન પર રમતી જોવા મળી શકે છે. આ મેચ પહેલા એક ભારતીય ખેલાડીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ગુરકીરત સિંહ માન છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને આપી છે.
ગુરકીરત સિંહ માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
2016ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત માટે ત્રણ ODI ક્રિકેટ મેચ રમનાર ગુરકીરત સિંહ માનએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય અને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારત માટે આ મેચોમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉપરાંત ગુરકીરતે ઓફ સ્પિનર તરીકે 10 ઓવર પણ ફેંકી હતી. પંજાબની ટીમની અંદર બહાર હોવાને કારણે અને 2020થી IPL માં ન રમી શકવાના કારણે ગુરકીરતે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. ગુરકીરતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- આજે મારી અતુલ્ય ક્રિકેટ સફરનો છેલ્લો દિવસ છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક સન્માન અને વિશેષાધિકાર રહ્યો છે. મને સપોર્ટ કરવા બદલ હું મારા પરિવાર, મિત્રો, કોચ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કરું છું. તમે બધાએ મારી કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
View this post on Instagram
ગુરકીરત સિંહ માનનું રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું
ગુરકીરતે 2011માં સીકે નાયડુ ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી તેણે 2015-16માં રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બેવડી સદી પણ ફટકારી. વનડેમાં પદાર્પણ કરતા પહેલા, તેને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. IPLમાં, તે પંજાબ કિંગ્સ, દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. તે ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો જેણે 2022 માં ટાઇટલ જીત્યું હતું પરંતુ તે પછી તેણે કોઈ મેચ રમી ન હતી. IPL માં તેણે 41 મેચમાં 121ના સ્ટ્રાઈક રેટથી 511 રન બનાવ્યા હતા. તાજેતરમાં, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ માટે મેચ રમી હતી. ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ગુરકીરત હવે વિદેશી T20 લીગમાં પોતાનું નસીબ અજમાવી શકે છે.
આ પણ વાંચો - સેમી ફાઈનલમાં પહોંચ્યા પછી પણ ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, જાણો શું છે કારણ
આ પણ વાંચો - SA vs AFG : વર્લ્ડ કપમાંથી બહાર થઇ અફગાન ટીમ, દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે આપી માત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે