અમદાવાદનું ઓળખસમુ સુંદર તળાવ હવે મસમોટા ઉંદરોનું બન્યું ઘર..!
અમદાવાદનું એક એવું સુંદર તળાવ કે જે હવે ઉંદરોના તળાવ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. રાજસ્થાનના કરણી માતાના મંદિરમાં જેટલા ઉંદર છે તેટલા ઉંદરઓએ અહીં ધામા નાખ્યા છે. આવતા જતા લોકો પણ મસમોટા ઉંદરો જોઈ તોબા કરી ઉઠ્યા છે.
અમદાવાદ શહેરના સુંદર તળાવમાં જેની પ્રશંસા થતી હોય તેવા આ તળાવના દ્રશ્યો છે કે જેમાં હવે ઉંદર જ ઉંદર જોવા મળે છે. જી હા અમદાવાદના વસ્ત્રાપુર તળાવના હાલ, હાલ ઉંદરોએ બેહાલ કર્યા છે. અહી મસ મોટા ઉંદરઓએ એટલા બધા દર બનાવ્યા છે કે તમામ પેવર બ્લોકસ ઉખડી ગયા છે સાઈડ પરની દીવાલો હલી ગઈ છે તો જમીનમાં પોલાણ સર્જાયું છે.. જમીનમાં પગ ઉતરી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સવાર સાંજ તળાવ અને બગીચા ની મોજ માણવા આવતા, વોકિંગ કરવા આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કેટલાક લોકો આ ઉંદરોને સામેથી ખાવાનું નાખવા પણ અહીં આવે છે અને પરિણામે ઉંદરોની ફોજ દિવસે ને દિવસે અહીં વધી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવના વિકાસ માટે લાખો રૂપિયા ખર્ચો કરવામાં આવતો હોય છે. પરંતુ આ ઉંદરોએ આ તળાવને ખેદાન મેદાન કરી નાખ્યું છે. ગુજરાત ફર્સ્ટ ના કેમેરામાં કેદ થયેલી આ તસવીરો સ્પષ્ટ કરે છે કે ઉંદરોને કારણે તળાવની હાલત કફોડી બની છે.. એક તરફ પૈસાનું પાણી અને બીજી તરફ લોકો પણ ભારે હાલાકીમાં મુકાયા છે.
વસ્ત્રાપુર લેક પર વોક માટે આવતા રશ્મિબેન પટેલ જણાવે છે કે વસ્ત્રાપુર લેકની હાલત ઉંદરોએ ખૂબ ખરાબ કરી નાખી છે. તેઓ કહે છે કે જાણે રાજસ્થાનમાં કરણી માતા નું મંદિર છે તેવું અહીં ફીલ થાય છે ત્યાં જેવા ઉંદરો છે તેવા જ અહીંયા છે. ખૂબ મોટા પ્રમાણમાં છે અને ખૂબ જ મોટા છે પબ્લિક પણ અહીં ઉંદરોને ખાવાનું આપતી હોય છે જેના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે અને ઉંદરોનું પ્રમાણ પણ વસ્ત્રાપુર લેકમાં વધ્યું છે. બાળકો ની સાથે સાથે અમે પણ ડેઇલી વોકિંગમાં આવીએ છીએ અમને પણ આટલા મોટા ઉંદરોથી ડર લાગે છે. છેલ્લા દોઢ બે મહિનાથી આ તકલીફ વધુ છે વસ્ત્રાપુર લેકની બધી જ દિવાલ ડેમેજ થઈ ગઈ છે. વરસાદ પૂરજોશમાં આવશે એટલે દિવાલ ધરાસાઈ થઈ જશે તેવી ભીતિ તેમને સતાવી રહી છે. ચાલતા ચાલતા એમને ડર લાગે છે કે ક્યાંક ઉંદર નો દર હશે પોલાણ હશે અમારો પગ ડેમેજ થશે.
વસ્ત્રાપુર લેકની મુલાકાતે આવેલા નટુભાઈ જણાવે છે કે વસ્ત્રાપુર તળાવ ઉંદરોનું નવું ઘર જાણે બની રહ્યું છે. અમે અહીં વોકિંગમાં આવીએ છીએ અને ઉંદરડા જોઈએ છીએ જેમને બધું જ ખોદી નાખ્યું છે અમુક જગ્યાએ તો પગ ઘૂસી જાય તેવી હાલત થઈ છે. ચારે બાજુ ઉંદરડાના દરો જોવા મળે છે બહુ મોટા ઉંદરડા છે ગણતરીનો પાર નથી. હમણાંથી ઉંદરડા નું પ્રમાણ ખૂબ વધ્યું છે અને બધે પોલાણ કરી નાખ્યું છે.
રીતેશભાઈ કહે છે કે આ લેક ઉંદરોનું જ લેક બની ગયું છે. રાત્રે નીકળાતું નથી પગમાં ઉંદર આવી જાય છે બહુ મોટા ઉંદર છે. આખી જમીન લેકની વરસાદ પડે એટલે ખસકી જાય તેમ છે કેમ કે એટલું બધુ પોલાણ થઈ ગયું છે. બધા બ્લોક નીકળી ગયા છે બાંકડા ઉંધા પડી ગયા છે. નવા બ્લોક નાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે આ સાલથી જ ઉંદરોનો ત્રાસ વધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ આજે ઉંદરોનું ઘર બનતું જાય છે. અહીં આવતા લોકો હવે આ મૂશકોથી કંટાળી ગયા છે. તેમની સંખ્યા એટલી વધારે છે કે લાગે છે કે વસ્ત્રાપુર તળાવમાં મૂશકરાજ શરૂ થઇ ગયું છે. ત્યારે ઘણા લોકોનું કહેવું છે કે, આ અંગે તંત્ર કેમ કોઇ પગલા લઇ રહ્યું નથી, કેમ આ સુંદર તળાવને ઉંદરોનું ઘર બનતું જઇ રહ્યું છે.
આ પણ વાંચો - અમદાવાદના તબીબે ઈન્ડોનેશિયાના દર્દીને દર્દમાંથી કર્યા મુક્ત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – સંજય જોષી