આજે છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રી અંગેના 'સસ્પેન્સ'નો આવશે અંત! કેન્દ્રીય નિરીક્ષકો સાથે રાજ્યના ધારાસભ્યોની બેઠક
આજે એટલે કે રવિવારે છત્તીસગઢમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક થવાની છે. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રી અંગેની ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિમણૂક કરવામાં આવેલા નિરીક્ષક કેન્દ્રીય મંત્રી અર્જૂન મૂંડા, સર્વાનંદ સોનોવાલ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ આ બેઠકમાં ધારાસભ્યો સાથે ચર્ચા કરશે.
છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના 54 નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે નિરીક્ષકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગેના 'સસ્પેન્સ'નો અંત આવે તેવી શક્યતા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરૂણ સાવે શનિવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રવિવારે પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિમણૂક નિરીક્ષક પણ સામેલ થશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, છત્તીસગઢના પ્રભારી ઓમ માથુર અને રાજ્ય માટે પાર્ટીના સહ પ્રભારી નીતિન નબીન પણ આ બેઠકમાં સામેલ થઈ શકે છે. જણાવી દઈએ છે કે, છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી હતી. બીજેપીને રાજ્યની કુલ 90 બેઠકોમાંથી 54 સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 35 બેઠકો જ મળી હતી.
#WATCH | Khunti, Jharkhand: On Chhattisgarh CM face, Union Minister Arjun Munda says, "It is time to form the government after getting the majority. There will be a meeting of the legislative party and the leader will be chosen. The other formalities will be completed soon... I… pic.twitter.com/MjiIoLDvzL
— ANI (@ANI) December 9, 2023
મુખ્યમંત્રીની રેસમાં આ નામ સામેલ
છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીના ચહેરાની વાત કરીએ તો આ રેસમાં પ્રદેશ અધ્યક્ષ અરૂણ સાવ, રમણ સિંહ, ઓપી ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુ દેવ સાય, ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપનાર રેણુકા સિંહ, રાજ્યના પૂર્વ મંત્રી રામવિચાર નેતામ અને લતા ઉસેંડી અને વિધાનસભા માટે ચૂંટાયા બાદ સાંસદ પદેથી રાજીનામું આપનારા ગોમતી સાઈના નામ દાવેદારોમાં સામેલ છે.
આ પણ વાંચો- શું છે 10 ડિસેમ્બરની HISTORY ? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ