Telangana : ચૂંટણી રેલી દરમિયાન મુખ્યમંત્રી KCR ના પુત્ર સાથે થયું કઇંક આવું... જુઓ Video
તેલંગાણામાં આ મહિનાના અંતમાં એટલે કે 30 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેલંગાણામાં 119 વિધાનસભાની બેઠકો છે અને રાજ્યમાં કુલ 7 પક્ષો ચૂંટણી લડવાના છે. તેલંગાણાની કમાન પોતાના હાથમાં લેવા માટે તમામ પાર્ટીઓ ખૂબ પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે આજે તેલંગાણા સરકારના મંત્રી અને મુખ્યમંત્રી KCR ના પુત્ર KTR રાવ નિઝામાબાદ જિલ્લામાં આગામી ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની સાથે એક દુર્ઘટના ઘટી હતી જેમા તેઓ બચી ગયા હતા.
KTR ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનમાંથી નીચે પડી ગયા
તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે BRS, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પ્રચારને તેજ બનાવી દીધો છે. ચૂંટણીમાં જીતનો ઝંડો ફરકાવવા માટે તમામ પાર્ટીઓ પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. આ ક્રમમાં તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના પુત્ર KTR ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનમાંથી નીચે પડી ગયા હતા. વાસ્તવમાં, નિઝામાબાદના અરમૂરમાં મંત્રી KTR પોતાના સાથી નેતાઓ સાથે કારમાં રોડ શો કરી રહ્યા હતા. દરમિયાન વાહન ચાલકે અચાનક બ્રેક લગાવી હતી. જે બાદ KTR સહિત તમામ નેતાઓ કારની છત પરથી નીચે પડી ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ મામલામાં કોઈને ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર નથી.
#WATCH | Telangana Minister and BRS leader KTR Rao fell down from a vehicle during an election rally in Armoor, Nizamabad district.
More details awaited. pic.twitter.com/FSNREb5bZZ
— ANI (@ANI) November 9, 2023
પોલીસકર્મીઓએ પડતા બચાવ્યા
મળી રહેલી માહિતી અનુસાર, તેલંગાણાના મંત્રીની સાથે BRS રાજ્યસભાના સભ્ય કેઆર સુરેશ રેડ્ડી અને પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જીવન રેડ્ડી પણ પ્રચાર વાહનમાં હાજર હતા. પોલીસે જણાવ્યું કે, રેલિંગ તૂટ્યા બાદ વચ્ચે ઉભેલા રામારાવ ઝટકાથી આગળ નમી ગયા અને વાહન પર રાખેલા સ્પીકર પર પડ્યા હતા. તેમણે કહ્યું કે ધારાસભ્ય અને સાંસદ વાહનમાંથી નીચે પડ્યા પરંતુ વાન સાથે મુસાફરી કરી રહેલા પોલીસકર્મીઓએ તેમને પકડી લીધા અને બંનેને રસ્તા પર પડતા બચાવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. રેડ્ડી અને રામારાવને તુરંત જ એક કારમાં લઈ જવામાં આવ્યા અને પછી તેઓ તેમના રસ્તે આગળ વધ્યા.
શું થયું હતું ?
પ્રારંભિક માહિતીના આધારે, અધિકારીએ જણાવ્યું હતું કે વાનના આગળના ચાલી રહેલા વાહનના ડ્રાઇવરને અચાનક કોઇ સામે આવી જવાના કારણે બ્રેક લગાવવી પડી હતી, પરિણામે આ ઘટના બની હતી. રામારાવની બહેન અને બીઆરએસ એમએલસી કે. કવિતાએ કહ્યું, મેં રામારાવ સાથે વાત કરી અને તેમણે મને કહ્યું કે તેઓ બિલકુલ ઠીક છે. કવિતાએ 'X' પર કહ્યું, BRSના કાર્યકારી પ્રમુખ કેટીઆર સાથે વાત કરી. વીડિયો એકદમ ડરામણો લાગે છે, પરંતુ તેમણે મને અને બીજા બધાને ખાતરી આપી કે તે એકદમ ઠીક છે. આ પછી રામારાવ રોડ શોમાં ભાગ લેવા કોડંગલ જવા રવાના થયા.
ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા સત્તાધારી પક્ષ પૂરા જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ગુરુવારે રાજ્યમાં 30 નવેમ્બરની વિધાનસભા ચૂંટણી માટે ગજવેલ અને કામરેડ્ડી બેઠકો પરથી ઉમેદવારી પત્રો ભર્યા હતા.
આ પણ વાંચો - સ્લીપર બસમાં લાગી ભીષણ આગ, બે લોકોના મોત, ઘણા દાઝી ગયા
આ પણ વાંચો - Madhya Pradesh : સભામાં પ્રિયંકા ગાંધીને ખાલી ગુલદસ્તો કેમ આપવામાં આવ્યો? કોંગ્રેસના નેતાએ કહ્યું સત્ય…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે