Surendranagar : માત્ર 8 માસ પહેલા શરૂ થયેલા લીંબડી સર્કલ હાઇવે ઓવરબ્રિજ પર મસમોટું ગાબડું
સુરેન્દ્રનગરનાં (Surendranagar) લીંબડી તાલુકાથી નેશનલ હાઈવે પસાર થાય છે. લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે (Limbadi-Ahmedabad National Highway) પર લીંબડી સર્કલ પાસે કરોડોનાં ખર્ચે બનાવવવામાં આવેલ ઓવરબ્રિજ પર મોડી રાત્રે મસમોટું ગાબડું પડી જતા અનેક સવાલો ઊભા થયા છે. થોડા મહિના પહેલાં જ બનેલા બ્રિજ પર ગાબડું પડતા તંત્ર તેમ જ કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આ બનાવની જાણ થતાં જ તંત્રનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું.
ઓવરબ્રીજ પર અંદાજે 8 થી 10 ફૂટ લાબું ગાબડું
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામની (Traffic Jam) સમસ્યા તેમ જ અકસ્માતને ધ્યાને લઈ સરકાર દ્વારા આ હાઇવેને કરોડોનાં ખર્ચે સિક્સલેન બનાવવામાં આવ્યો છે. તેમ જ નેશનલ હાઇવે પર આવતા મુખ્ય તાલુકા મથકોનાં વિસ્તારમાં હાઇવે પર લાખોનાં ખર્ચે ઓવરબ્રિજ (Overbridge) બનાવવામાં આવ્યા છે, જેથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. લીંબડી સર્કલ પાસેના હાઇવે પર પણ કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવેલ ઓવરબ્રિજને અંદાજે 8 મહિના પહેલા જ પ્રજાજનો અને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દરરોજ હજારોની સંખ્યામાં આ ઓવરબ્રિજ પરથી વાહનો પસાર થાય છે. પરંતુ માત્ર 8 મહિનાનાં ટૂંકા સમયગાળામાં જ ઓવરબ્રીજ પર અંદાજે 8 થી 10 ફૂટ લાબું ગાબડું પડી ગયું છે.
એક તરફનો વાહન વ્યવહાર બેરિકેટ મૂકી બંધ કરાયો
આ ગાબડું પડી જતા કોન્ટ્રાક્ટર અને તંત્રની નબળી કામગીરી સામે આવી છે અને ઓવરબ્રિજની હલકી ગુણવત્તાની કામગીરીને કારણે કોઈ મોટી જાનહાની થાય તો કોની જવાબદારી ? સહિતનાં સવાલોએ જોર પકડ્યું છે. જો કે, ઓવરબ્રિજ પર ગાબડાની (Huge Gap Overbridge) જાણ થતાં જ હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને એક તરફનો વાહન વ્યવહાર બેરિકેટ મૂકી બંધ કરાવી ગાબડાંનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું. જયારે, આ મામલે હાઇવે ઓથોરિટીનાં અધિકારીએ ઓવરબ્રિજ પર ગાબડાંને માત્ર સામાન્ય તિરાડ જ ગણાવી પોતાની જવાબદારીથી હાથ ઊંચા કર્યાં હોવાના આરોપ થયા હતા. જયારે, વાહનચાલકો અને જાગૃત નાગરિકો દ્વારા ઓવરબ્રિજની ગુણવત્તા અંગે ચેકિંગ હાથ ધરવામાં આવે અને ઓવરબ્રિજ પર પડેલ ગાબડાનું યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
આ પણ વાંચો - Surat : વરસાદમાં નવા રોડ પણ ધોવાઈ ગયા! સ્થાઇ સમિતિનાં ચેરમેને કહ્યું- ડામર અને પાણીનું..!
આ પણ વાંચો - Rajkot : મવડી બ્રિજ પાસે મળ્યો મહિલાનો મૃતદેહ, મોત પાછળ ચોંકાવનારું પ્રથમિક તારણ!
આ પણ વાંચો - Tapi : ધોધમાર વરસાદમાં હજારો નાગરિકો સાથે ગૃહ રાજ્યમંત્રીએ 7 હજારથી વધુ વૃક્ષ રોપ્યાં