IIT મદ્રાસ હોસ્ટેલના રૂમમાંથી મળી વિદ્યાર્થીની લાશ, ચાર મહિનામાં ચોથો કેસ
તમિલનાડુમાં એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હોસ્ટેલના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. તે IIT મદ્રાસમાં B.Tech બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. પોલીસને શંકા છે કે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. હાલ પોલીસે મૃતદેહને પોતાના કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ મામલે કહ્યું છે કે આ વિદ્યાર્થી મહારાષ્ટ્રનો રહેવાસી હતો અને IIT મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. જો પોસ્ટમોર્ટમ પછી પોલીસ આ વિદ્યાર્થીની આત્મહત્યાની પુષ્ટિ કરે છે, તો આ વર્ષે IIT મદ્રાસમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ ચોથો કેસ હશે.
પીએચડીના વિદ્યાર્થીએ ગયા મહિને આત્મહત્યા કરી હતી
આ પહેલા 1 એપ્રિલના રોજ સમાચાર આવ્યા હતા કે 31 માર્ચે IIT મદ્રાસમાંથી પીએચડી કરી રહેલા સચિન કુમાર જૈન નામના 32 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા આ વિદ્યાર્થીએ તેના વોટ્સએપ પર એક સ્ટેટસ પણ મૂક્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે મને માફ કરજો, સારું નથી. સચિન જૈન પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો અને ભાડાના ફ્લેટમાં રહેતો હતો. તેની લાશ ડાઇનિંગ હોલમાં લટકતી હાલતમાં મળી આવી હતી.
માર્ચ મહિનામાં વધુ બે વિદ્યાર્થીઓએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ
અગાઉ 14 માર્ચે આ જ સંસ્થાના અન્ય એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. તેનું નામ પુષ્પક હતું અને તે આંધ્રપ્રદેશનો રહેવાસી હતો. તે અહીં B.Tech ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં બે અન્ય વિદ્યાર્થીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં એકનું મોત થયું હતું. જેમાંથી એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી અને બીજા વિદ્યાર્થીએ ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી. અન્ય જે વિદ્યાર્થીએ ગોળીઓ લીધી હતી તેને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો : દિલ્લીની સાકેત કોર્ટમા ફાયરિંગ, વકીલના ડ્રેસમાં આયો હતો આરોપી