Junagadh માં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ, 12 સંસ્થાઓએ સરકારને કરોડોનો ધૂંબો માર્યો
જૂનાગઢમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના નામે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું છે. જીલ્લાની અલગ અલગ 12 સંસ્થાઓ દ્વારા ખોટા દસ્તાવેજો સાચા બતાવીને રજૂ કરી સરકાર સાથે રૂપિયા 4.60 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના ચેકો મેળવીને વિદ્યાર્થીઓને તે રકમ આપવામાં આવી ન હતી, સમગ્ર મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક દ્વારા 12 સંસ્થાના આચાર્ય અને ટ્રસ્ટીઓ વિરૂધ્ધ જૂનાગઢના સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાય છે.
જૂનાગઢ જીલ્લામાં વર્ષ 2014 થી 2016 દરમિયાન જીલ્લાના અલગ અલગ તાલુકામાં આવેલી 12 સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને સરકાર તરફથી આપવામાં આવતી શિષ્યવૃત્તિ ના ખોટા દસ્તાવેજ બનાવી તેને સાચા તરીકે રજૂ કરીને શિષ્યવૃત્તિની રકમના ચેક મેળવી તે રકમની ઉચાપત કરવામાં આવી હતી, 12 સંસ્થાઓ દ્વારા કુલ મળીને રૂપિયા 4,60,38,550 ની ઉચાપત કરવામાં આવી હતી, આ અંગે અરજદાર દ્વારા ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને વિભાગ દ્વારા ખાતાકીય તપાસ કરીને રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને રીપોર્ટના આધારે વિભાગ દ્વારા જૂનાગઢ કચેરીને પોલીસ ફરીયાદ કરવા માટેની સૂચના કરવામાં આવતાં સ્થાનિક કચેરી દ્વારા પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે 12 સંસ્થાના આચાર્ય હોદ્દેદારો સામે ગુન્હો નોંધાયો તે સંસ્થાનું નામ અને તેની વિગત
1. ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ, આર.સી. પારેખ એન્ડ સી.સી.પારેખ એજયુકેશન કેમ્પસ, મહાજન હોસ્પીટલ સામે, મુ. માંગરોળ જી.જૂનાગઢ
2. રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ, બસસ્ટેન્ડ પાછળ, મુ. માણાવદર જી.જૂનાગઢ
3. ગાંધી સ્મૃતિ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ, શ્યામ ચેમ્બર, સેકન્ડ ફ્લોર, દાતાર રોડ, મુ. જૂનાગઢ
4. સાંગાણી પેરામેડીકલ સ્કૂલ, સાંગાણી હોસ્પીટલ, બસસ્ટેન્ડ સામે, મુ. કેશોદ જી.જૂનાગઢ
5. ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ કેશોદ, આંબાવાડી, મુ. કેશોદ જી.જૂનાગઢ
6. ગુજરાત ઇન્સ્ટીટયુટ, ગાંધીચોક, મુ. માણાવદર જી.જૂનાગઢ
7. શિવ ઇન્સ્ટિટ્યૂટ, ટાવર રોડ, ચાર ચોક, મુ. માંગરોળ, જી.જૂનાગઢ
8. ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ, મુ. મેંદરડા, જી. જૂનાગઢ
9. ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ, બસસ્ટેન્ડ પાછળ, બાલાજી કોમ્પલેક્ષ સામે, મુ. મેંદરડા જી.જૂનાગઢ
10. ક્રિષ્ના એકેડેમી, રામ મંદિર ચોક, મુ. ગડુ તા. માળીયા હાટીના, જી.જૂનાગઢ
11. ગુજરાત ઇન્સ્ટીટયુટ, જેનીલી શોપીંગ સેન્ટર, જૂનાગઢ
12. પ્રશિક્ષણ એજયુકેશન, તાલુકા પંચાયત સામે, યુકો બેંક પાસે, મુ. કેશોદ જી.જૂનાગઢ
ઉપરોક્ત તમામ સંસ્થાના આચાર્યો તેમજ ટ્રસ્ટ ના હોદેદારો અને જવાબદારો તથા તપાસમાં જે કોઇ કસુરવાર જણાય તેની સામે ગુન્હો નોંધાયો છે.
જૂનાગઢ સરદારબાગ બહુમાળી ભવન ખાતે કાર્યરત અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેમાં ધોરણ 1 થી લઈને કોલેજ સુધીના ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જે કોલેજ સંલગ્ન હોસ્ટેલ હોય તેમાં વિદ્યાર્થીઓને ફુડ બીલ પણ આપવામાં આવે છે, હાલ આ કચેરી હેઠળ પ્રીમેટ્રીક ના અંદાજે 12 હજાર અને પોસ્ટ મેટ્રીક ના અંદાજે 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમને સરકાર તરફથી શિષ્યવૃત્તિનો લાભ મળે છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા, માર્કશીટ વગેરે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે, જેના આધારે સરકાર તરફથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નો લાભ મળતો હોય છે.
જૂનાગઢ જીલ્લાની જે 12 સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે તે તમામ સંસ્થાઓ હાલ બંધ હાલતમાં છે, જે તે સમયે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના રૂપિયાની રકમના ચેક જે તે સંસ્થાઓને આપવામાં આવતાં હતાં અને ત્યારબાદ જે તે સંસ્થા તેનો રોકડ ઉપાડ કરી વિદ્યાર્થીઓને ચૂકવતા હતા. વર્ષ 2017-18 થી સરકાર દ્વારા શિષ્યવૃત્તિની રકમ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવે છે. વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા હેતુ સરકાર દ્વારા હવે શિષ્યવૃત્તિની રકમ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે, આ ઘટના નવ વર્ષ અગાઉની હોવાથી તે સમયે ઓનલાઇન રકમ જમા થતી ન હતી તેથી તેની ઉચાપત કરી લેવામાં આવી, વધુમાં અરજદાર દ્વારા આ અંગે ફરીયાદ કરવામાં આવી હોય વિભાગીય તપાસના અંતે તમામ 12 સંસ્થાના આચાર્ય અને હોદેદારો તેમજ જવાબદાર લોકો સામે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે જેની પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ
આ પણ વાંચો : Surat News : દક્ષિણ ગુજરાતનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગરની ધરપકડ, પ્રોહીબીશનના 11 ગુનાઓમાં છે વોન્ટેડ