હજુ સસ્તી લોન માટે જોવી પડશે રાહ, RBI એ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર થયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો વિશે જણાવ્યું. આ વખતે પણ પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
આ નાણાકીય વર્ષની બીજી બેઠક
આ FY24 માં ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની આ બીજી બેઠક છે. તેની શરૂઆત 6 જૂને મુંબઈમાં થઈ હતી. આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે હાલ રેપો રેટ 6.5 ટકા જ રહેશે. તમને જણાવી દઈએ કે મે 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકે એક પછી એક રેપો રેટમાં વધારો કર્યો હતો.
Monetary Policy Statement by Shri Shaktikanta Das, RBI Governor - June 08, 2023 https://t.co/R9mQDcr70D
— ReserveBankOfIndia (@RBI) June 8, 2023
આરબીઆઈ ગવર્નરે શું શું કહ્યું?
આરબીઆઈ ગવર્નરે આ અંગે જાહેરાત કરતાં કહ્યું કે ક્રેડિટ ગ્રોથમાં જોરદાર તેજીને પગલે રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોંઘવારીના દરોમાં ઘટાડો પણ તેમાં મહત્ત્વનું પાસું રહ્યું છે. જોકે મોંઘવારી દર નાણાકીય વર્ષ 2023-24માં 5 ટકાથી ઉપર રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મોંઘવારી લક્ષ્યથી ઉપર રહી શકે છે તેમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું. આ સાથે કોઈપણ દરમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રેપો રેટ શું હોય છે?
ખરેખર તો રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ દેશની બેંકોને લોન આપે છે. ત્યારપછી આ દરના આધારે, બેંક તેના ગ્રાહકોને હોમ લોન, વાહન લોન, વ્યક્તિગત લોન વગેરે જેવી વિવિધ પ્રકારની લોન આપે છે. આ કારણોસર રેપો રેટમાં ફેરફારને લીધે તમારી લોન અને EMI પર સીધી અસર પડે છે.
આપણ વાંચો -વિશ્વની સૌથી મોટી આલ્કોહોલ કંપનીના CEO IVAN MENEZES નું નિધન