Republic Day 2025: ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ
- ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ વિષય આધારિત ઝાંખી અને 'મણિયારા રાસ'ના તાલે ઝુમતા કલાકારો સૌને રોમાંચિત કર્યા
- 'કર્તવ્ય પથ' પરથી વિવિધ રાજ્યો-વિભાગોના 31 ટેબ્લો રજુ થયા : રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા
- ગુજરાતની જીતની હેટ્રિક હાથવેંત છેટી ! રાજ્યના ટેબ્લોને વિજેતા બનાવવા MyGov પર જઈ ભરપૂર વોટિંગ કરો અને ગુજરાતને વિજેતા બનાવવામાં આપનું યોગદાન આપો
Republic Day 2025: “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ આધારિત ગુજરાત દ્વારા 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવેલા ટેબ્લો : ‘ગુજરાત : આનર્તપુર થી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ એ અત્રે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ટેબ્લો સાથે 'મણિયારા રાસ'ના તાલે ઝુમતા કલાકારોએ પણ સૌને રોમાંચિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 'કર્તવ્ય પથ' પરથી 26 જાન્યુઆરીના રોજ વિવિધ રાજ્યો-કેન્દ્રીય વિભાગોના કુલ 31 ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ગણતંત્ર દિવસે રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી હતી.
Republic Day 2025: Kartavya Path પર Gujarat ની ઝાંખીએ જમાવ્યું અનેરૂં આકર્ષણ । Gujarat First@PMOIndia @narendramodi @AmitShah @CMOGuj @Bhupendrapbjp @rashtrapatibhvn #RepublicDay2025 #RepublicDayIndia #Republic #RepublicDayParade2025 #GujaratTableau #gujaratfirst
Video Source… pic.twitter.com/P8olVxyIi7
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
‘આત્મનિર્ભર ભારત’ના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા
“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા જે ઝાંખીની રજૂઆત થઇ હતી તેણે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય કિન્તુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકારિત કર્યું હતું. ગુજરાતની ઝાંખીમાં 12-મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21-મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા હતા.
કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી દીધા
પૂર્વ વડાપ્રધાન વાજપાઈજીની 100-મી જન્મજયંતીના પ્રતિક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો ‘અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી દીધા હતા. ગુજરાતની ઝાંખીના અગ્રભાગમાં ‘યુનેસ્કો’ની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર, હાલના વડનગર સ્થિત ૧૨-મી સદીનું સોલંકીકાળનું ‘કીર્તિ તોરણ’ અને નીચના ભાગે કચ્છી માટી-આભલાની કલાકૃતિ દર્શાવવામાં આવી હતી. જયારે ઝાંખીના મધ્ય ભાગમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે ‘આત્મ નિર્ભર ભારત’ના પ્રકલ્પો પૈકી વડોદરામાં ‘તાતા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડ’ના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂપ ‘અટલ બ્રિજ’, સેમીકંડકટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમી કંડકટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઇલ-મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહેલો ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યા હતા.
રાજ્યના જોમવંતા ‘મણિયારા’ રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો
આ ઝાંખીના અંતિમ ભાગમાં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતીની સ્મરણાંજલિના ભાગરૂપે 21-મી સદીની શાન અને દેશભરના ખેડૂતો મારફતે એકત્રિત કરવામાં આવેલા લોખંડથી નિર્માણાધીન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની 182 મીટર ઊંચી પ્રતિમા-‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’દર્શાવવામાં આવ્યું હતું તથા તેના નીચેના ભાગમાં જગતમંદિર દ્વારકાની પાવનભૂમિ અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યના જોમવંતા ‘મણિયારા’ રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 15 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 31 ટેબ્લો રજુ થયા હતા. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક જીગર ખુંટનું યોગદાન રહ્યું હતું.
આ પણ વાંચો: Republic Day : PM Modi એ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી