રથયાત્રા 2023 : દરિયાપુરમાં બાલ્કની તૂટતાં એકનું મોત અનેક લોકો ઈજાગ્રસ્ત, CM એ કરી સહાયની જાહેરાત
આજે અષાઢી બીજના દિવસે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી હતી. ત્યારે રાત્રે 8.30 વાગ્યાની આસમાસ ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રાજીનો રથ નિજ મંદિર પરત ફરતા મોટી સંખ્યામાં ભક્તો મંદિર બહાર ઉમટી પડ્યા હતા. જોકે, આ દરમિયાન પહેલા ભગવાન જગન્નાથજીના રથનું હેન્ડ તૂટી જતા ખલાસીઓ દ્વારા દોરડા ખેંચી રથને આગળ વધારવામાં આવ્યો હતો. જેના કારણે ભગવાન બલરામજીનો રથ અડધો કલાક મોડો એટલે કે નવ વાગ્યે ભગવાન બલરામજીનો રથ નિજ મંદિર પરત કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, રથયાત્રા દરમિયાન દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે, આથી નીચે ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઊભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો, આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 7 બાળક સહિત 31 ભાવિકોને ઈજા પહોંચી છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
ત્યારે ભુપેન્દ્ર પટેલે આ દુઃખદ ઘટનાને લઈને એક ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, 'અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.'
મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી .એમ. ડેશબોર્ડની વીડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. ખાસ કરીને ભગવાનના મુખ્ય રથનો માર્ગ તેમજ યાત્રામા જોડાયેલા પદયાત્રીઓની બારીકાઇથી વિગતો મેળવી હતી.
આ પણ વાંચો : ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા