ઈમરાન ખાનના ઘરમાં આતંકી છુપાયા હોવાના ઈનપુટ્સ, પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહ્યું. પોલીસે લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરને ઘેરી લીધું છે. પોલીસનો દાવો છે કે ઈમરાન ખાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા છે. મળતી માહિતી મુજબ લાહોરના જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ એકઠી થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમને એવા ઈનપુટ મળ્યા છે કે ઈમરાનના ઘરની અંદર 40 આતંકીઓ છુપાયેલા છે.
પંજાબની વચગાળાની સરકારે પીટીઆઈને પૂર્વ વડાપ્રધાનને લાહૌર સ્થિન જમાન પાર્ક આવાસમાં આશ્રય લેનારા 30 થી 40 આતંકવાદીઓને પોલીસને સોંપવા માટે 24 કલાકની સમય મર્યાદા આપી છે. કાર્યવાહક સુચના મંત્રીએ કહ્યું કે, પીટીઆઈએ આ આતંકીઓને પોલીસના હવાલે કરી દેવા જોઈએ નહીતર કાયદો પોતાનું કામ કરશે. સરકારને આ આતંકવાદીઓની ઉપસ્થિતિ વિશે ખબર હતી કારણ કે તેની પાસે વિશ્વસનિય ગુપ્ત રિપોર્ટ હતો.
મંત્રી આમીર મીરે જણાવ્યું કે, જે ગુપ્ત રિપોર્ટ આવી છે. તે ખુબ જ ભયાનક છે. એજન્સીઓએ જીયો ફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકવાદીઓની હાજરી કન્ફર્મ કરવામાં સક્ષમ રહી છે. પીટીઆઈના પ્રમુખ એક વર્ષથી સેનાને ટાર્ગેટ કરી રહ્યાં છે. તેમણે સખ્ત શબ્દોમાં કહ્યું આતંકવાદીઓને પોલીસના હવાલે કરી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, 9મી મેના રોજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટ પાસેથી ભ્રષ્ટાચારના એક કેસમાં NAB એ ધરપકડ કરી લીધી હતી અને તે બાદથી પાકિસ્તાનમાં હિંસા ભડકી ઉઠી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં કોલસાની ખાણના સીમાંકન મુદ્દે બે આદિવાસી જાતિઓ વચ્ચે અથડામણમાં 15ના મોત