Supreme Court : પતંજલિ આયુર્વેદ તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરે, નહિંતર....!
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને કડક ચેતવણી આપી છે. આ ચેતવણી આધુનિક દવા પ્રણાલી વિરુદ્ધ જાહેરાતોમાં ખોટા અને ભ્રામક દાવાઓ પ્રકાશિત કરવા બદલ આપવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ભ્રામક જાહેરાતો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે...
07:59 PM Nov 22, 2023 IST
|
Vipul Pandya
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને કડક ચેતવણી આપી છે. આ ચેતવણી આધુનિક દવા પ્રણાલી વિરુદ્ધ જાહેરાતોમાં ખોટા અને ભ્રામક દાવાઓ પ્રકાશિત કરવા બદલ આપવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ભ્રામક જાહેરાતો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને વિવિધ રોગો અંગેની તેની દવાઓ વિશેની જાહેરાતોમાં "ખોટા" અને "ભ્રામક" દાવા કરવા સામે ચેતવણી આપી છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ની અરજી પર સુનાવણી કરતી વખતે મૌખિક ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની આવી તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ગંભીરતાથી લેશે...''
બેન્ચ દરેક પ્રોડક્ટ પર 1 કરોડ રૂપિયાનો દંડ લાદવાનું પણ વિચારી શકે
સર્વોચ્ચ અદાલતે રામદેવ પર રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ લગાવતી IMAની અરજી પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ પાઠવી હતી. સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન, બેન્ચે પતંજલિ આયુર્વેદને દવાની આધુનિક પદ્ધતિઓ વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે જો કોઈ ચોક્કસ રોગનો ઈલાજ થઈ શકે એવો ખોટો દાવો કરવામાં આવે તો બેન્ચ દરેક પ્રોડક્ટ પર 1 કરોડ રૂપિયાનો દંડ લાદવાનું પણ વિચારી શકે છે.
પરફેક્ટ ઈલાજના દાવા
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલને ભ્રામક તબીબી જાહેરાતોના મુદ્દાનો ઉકેલ શોધવા માટે કહ્યું, જ્યાં અમુક રોગોની સચોટ સારવાર કરતી દવાઓ વિશે દાવાઓ કરવામાં આવે છે. બેંચ હવે આવતા વર્ષે 5 ફેબ્રુઆરીએ IMAની અરજી પર સુનાવણી કરશે. અરજી પર નોટિસ જારી કરીને, સર્વોચ્ચ અદાલતે એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનરોની ટીકા કરવા બદલ રામદેવની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમને ડોકટરો અને સારવારની અન્ય પ્રણાલીઓને બદનામ કરવાથી રોકવું જોઈએ.
ખંડપીઠે આ જણાવ્યું હતું
તત્કાલીન ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, “ગુરુ સ્વામી રામદેવ બાબાને શું થયું છે?...અમે તેમનો આદર કરીએ છીએ કારણ કે તેમણે યોગને લોકપ્રિય બનાવ્યો હતો. અમે બધા તે કરીએ છીએ. પરંતુ, તેમણે અન્ય પ્રણાલીઓની ટીકા ન કરવી જોઈએ.'' બેન્ચે કહ્યું હતું કે, ''આયુર્વેદ જે પણ પ્રણાલી તેઓ અપનાવી રહ્યા છે તે કામ કરશે તેની શું ગેરંટી છે? તમે એવી જાહેરાતો જુઓ છો કે જ્યાં બધા ડોકટરો પર એવો આરોપ લગાવાય છે જાણે કે તે હત્યારા હોય. મોટી મોટી જાહેરાતો આપવામાં આવી છે.
કથિત રીતે એલોપથી અને ડોકટરોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા
IMA એ ઘણી જાહેરાતો ટાંકી હતી જેમાં કથિત રીતે એલોપથી અને ડોકટરોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવા માટે આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા "બદનક્ષીભર્યા" નિવેદનો પણ કરવામાં આવ્યા છે.
Next Article