પોલીસ સમક્ષ હાજર થયા પહેલા યુવરાજસિંહ જાડેજાએ જાણો શું કહ્યું?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આખરે આજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઇ ગયા છે. તે પહેલા યુવરાજસિંહે પત્રકારો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, હું થોડી ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું જેમા ઘણા નામો ઉજાગર કરવાનો છુ.
ભીડભંજન મહાદેવ મંદિર પહોંચ્યા યુવરાજસિંહ
રૂપિયાની લેતી-દેતીના આક્ષેપ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર SOG દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જે મુજબ તેમણે 19 તારીખના રોજ ભાવનગર SOG સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તેઓ બિમારીનું કહીને હાજર થઇ શક્યા નહીં અને હવે તેઓ આજે પોલીસ સમક્ષ હાજર થવાના છે. જોકે તે પહેલા ભીડભંજન મહાદેવ મંદિર પહોંચ્યા હતા. જ્યા અનેક વિદ્યાર્થી ઉમેદવારો યુવરાજસિંહના સમર્થનમાં પહોંચ્યા છે. સમન્સના નિવેદન પહેલા યુવરાજસિંહ આજે પત્રકાર પરિષદ કરવાના હોવાનું તેમણે પોતે જણાવ્યું છે. જણાવી દઇએ કે, મહત્વનું છે કે, બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયાની લેતી-દેતીના આક્ષેપ લગાવ્યા છે. જેને લઈને હવે આક્ષેપોને લઈ ભાવનગર SOG યુવરાજસિંહની પૂછપરછ કરશે.
ગુજરાત ફર્સ્ટે કર્યું હતું એક્સક્લ્યુઝિવ ઈન્ટરવ્યૂં
ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુવરાજસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ હાજર થયા પહેલા ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી. પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, વર્તમાનમાં જે વ્યક્તિ આ બધુ બહાર પાડી રહ્યો છે તેનાથી ઘણા બધાને તકલીફો પડી રહી છે. કોને તકલીફ છે તો તે છે કે જેની દુકાનો હવે બંધ થવા લાગી છે. આજે કૌભાંડના નામે જેની દુકાન ચાલી રહી છે તે બંધ થઇ રહી છે. આવા લોકોથી તેમના સમાજના લોકો પ્રેરિત થઇ રહ્યા હતા અને પછી આ સિસ્ટમના શોર્ટકટ અપનાવતા હતા એટલે અમુક સામાજીક લોકોને તકલીફ છે. વળી બીજી બાજુ અમુક રાજકીય લોકોને તકલીફ પડવા લાગી છે. રાજકારણીઓને પણ પૈસા મળી રહેતા એટલે જ તકલીફો થઇ રહી છે.” દરેક સમયે કહેવાય છે કે મોટો મગરમચ્છ પકડાતો નથી પણ હવે મોટો મગરમચ્છ આંટીમાં આવ્યા છે એટલે આ બધુ કોઇ પણ સંજોગે દબાવવું છે અને એટલે જ તેઓ ઇચ્છે છે કે કોઇ પણ રીતે યુવરાજસિંહને આ પ્રકરણમાંથી દબાવી દેવામાં આવે તો જ આ પ્રકરણ દબાશે, એટલે એ પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ તમામ પ્રયત્નો નાકામ જ રહેશે.
બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો તે અંગે જાણો શું કહે છે યુવરાજસિંહ જાડેજા?
જે વ્યક્તિ આરોપ કરનાર છે, મે તેનો વીડિયો જોયો છે પણ હું તમને કહેવા માંગીશ કે તે પોતે જ આરોપી છે. આ આરોપી હાલમાં કહીએ તો તે સરકારનો સાક્ષી બની ગયો છે, સરકારના કહેવા પ્રમાણે ચાલી રહ્યો છે. ફસાવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેમા તેનું આર્થિક અને સામાજીક હિત છે જે મને ખબર છે. આ બંને હિત તેની સાથે સંકળાયેલા છે. અને હા તે મારો કોઇ ખાસ મિત્ર નથી તેની સાથે મારી શૈક્ષણિક મુલાકાત થઇ હતી.
યુવરાજસિંહે શું ક્યારે કોઇ પૈસાની લેવડ-દેવડ કરી છે?
મારા પર જે તોડ કાંડના આરોપ લાગી રહ્યા છે તે બિલકુલ ખોટા છે. મે ક્યારે પણ કોઇ આર્થિક લેવડ-દેવડ કરી નથી. મે ક્યારેક નાની-મોટી કોઇે લોભ કે લાલચ આપી હશે અને તે પણ કેવી કે તુ મને નામ આપી દે તો હું તને બચાવી લઇશ, આ પ્રકારની વાતો થઇ હોય. ખરેખર તેને બચાવવાનો ન હોય, અને જો તેને બચાવવાનો જ હોય તો હું IPS હસમુખ પટેલને નામ ન આપ્યા હોત. જો મારે બચાવવો જ હોત તો મારે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર ન પડી હોત. હું માત્ર એટલું જ કહીશ કે મૂળ મુદ્દો ડમી કાંડનો છે જે મુદ્દો ભુલાવવા માટે આ બધુ થઇ રહ્યું છે.
આ પણ વાંચો – યુવરાજસિંહ જાડેજાને પોલીસે ન આપ્યો 10 દિવસનો સમય, ફરી એક વાર પાઠવ્યું સમન્સ