Jammu-Kashmir and Ladakh : હિમવર્ષામાં ફસાયેલા લોકો માટે ભારતીય વાયુસેના બની ભગવાન
Jammu-Kashmir and Ladakh : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષા થયાના સમાચાર સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, શિયાળાના મહિનાઓ પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષા થાય છે. પહાડો પર ફરવા આવેલા ઘણા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો શનિવારે ભારે હિમવર્ષામાં ફસાયા હતા. ભારતીય વાયુસેના (IAF) એ અલગ-અલગ સ્થળોએ ફસાયેલા 328 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
3,442 લોકોને હવાઈ માર્ગે બચાવી લેવામાં આવ્યા
આ મામલે વાયુ સેનાએ આપેલી જાણકારી પ્રમાણે વાત કરીએ તો ઊંચાઈએ ફસાયેલા લોકોને ત્રણ ફ્લાઈટમાં લઈ જવામાં આવ્યા હતા. વાયુસેનાએ વધુમાં જણાવ્યું કે, 22 જાન્યુઆરીએ તેની શરૂઆત થઈ ત્યારથી, નાગરિક પ્રશાસન સાથે સંકલન કરીને ભારતીય વાયુસેના દ્વારા 'કારગિલ કુરિયર' સેવા હેઠળ કુલ 3,442 લોકોને હવાઈ માર્ગે બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન, ભારે હિમવર્ષાના કારણે 434 કિલોમીટર લાંબા શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે.
વાયુસેનાએ મુસાફરો અને પ્રવાસીઓને બચાવ્યા
વાયુસેનાના અધિકારીએ કહ્યું કે, ‘વાયુસેનાની 'કારગિલ કુરિયર' સેવાના બે વિમાનોએ શનિવારે હવાઈ માર્ગે 328 મુસાફરોને બચાવ્યા હતા, જ્યારે AN-32ની ત્રણ ફ્લાઈટ્સ દ્વારા 144 મુસાફરોને શ્રીનગરથી કારગિલ સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 12 મુસાફરોને કારગિલથી શ્રીનગર સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.’ તેમણે કહ્યું કે એ જ રીતે જમ્મુથી કારગિલ સુધી ત્રણ ફ્લાઈટમાં 164 મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો અને આઠ મુસાફરોએ કારગિલથી જમ્મુની મુસાફરી કરી હતી.
ભારતીય વાયુસેનાએ પોતાના ફરજ અદા કરી
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના (IAF) એ શનિવારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષાને કારણે વિવિધ સ્થળોએ ફસાયેલા 328 લોકોને હવાઈ માર્ગે બચાવ્યા. વાયુસેનાના એક અધિકારીએ આ માહિતી આપી.