India vs Canada : જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર રાગ આલાપ્યો, ભારતે પોતાના પર લાગેલા આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારતને લઈને નિવેદન આપ્યું છે. બંને દેશોના સંબંધોમાં કડવાશ વચ્ચે ટ્રુડોએ ફરી એકવાર નિવેદન આપ્યું છે. બુધવારે ઓટાવામાં પત્રકારો સાથે વાત કરતા કેનેડિયન પીએમે કહ્યું કે ભારત સરકારના એક અધિકારીએ અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીને મારવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યાના આ ષડયંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. ટ્રુડોએ કહ્યું કે ભારતે કેનેડાના આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ.
શું છે સમગ્ર મામલો?
બુધવારે અમેરિકાએ દાવો કર્યો હતો કે તેણે ન્યૂયોર્કમાં રહેતા એક શીખ અલગતાવાદી અમેરિકન નાગરિકની હત્યાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યો અને કહ્યું કે ભારત સરકારના એક અધિકારીએ અમેરિકામાં ખાલિસ્તાનીને મારવાનું કાવતરું ઘડ્યું હતું, જેને એજન્સીએ નિષ્ફળ બનાવ્યું હતું.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે...
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે બુધવારે કહ્યું હતું કે 52 વર્ષના એક વ્યક્તિએ ભારત સરકારના કર્મચારી સાથે મળીને કામ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વ્યક્તિ પાસે સુરક્ષા અને ગુપ્ત માહિતી હતી. યુ.એસ.એ દાવો કર્યો હતો કે તેઓએ ભારતમાં શીખ રાજ્યની વકીલાત કરતા ન્યુયોર્ક સિટીના રહેવાસીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.
ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા...
કેનેડામાં, અગ્રણી ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા નજીક બે અજાણ્યા હુમલાખોરો દ્વારા નિજ્જર પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અંગે કેનેડા સરકારે આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારત સરકારનું કાવતરું હોઈ શકે છે.
આ પણ વાંચો : Canada બાદ હવે અમેરિકાએ પણ ભારતને દોષિત જાહેર કર્યું!, ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર માટે જવાબદાર બતાવ્યો