ગીર- સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદ,વેરાવળને જોડતો માર્ગ પાણીમાં ડૂબ્યો
Weather Update : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં મંગળવારથી આજ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે ત્યારે ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પર પણ ધસમસતા પ્રવાહ ફરી વળ્યા છે. સુત્રાપાડા ફાટક અને વેરાવળ વચ્ચેનો રોડ ધોવાયો છે. વેરાવળના સોનારિયા ગામ નજીક હાઇવે પર પણ ધોવાણ થયું છે.
સોમનાથને જોડતો મુખ્ય માર્ગ બંધ
ધોવાણ થતા નેશનલ હાઇવે બંધ કરાયો છે. કપિલા નદીના પાણીને કારણે હાઇવે બંધ કરાયો છે. સોમનાથ ભાવનગર હાઈવે સુત્રાપાડા ફાટક નજીક હિરણ નદીનું પાણી આવી જતા વેરાવળ અને સોમનાથને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સોમનાથ વેરાવળ બાયપાસ નજીકનો હાઈવે એક તરફથી બ્લોક થઈ જતાં મુસાફરો અટવાયા છે.
વેરાવળના મુખ્ય માર્ગો બંધ
વેરાવળમાં સતત વરસતા વરસાદને કારણે અનેક રોડ રસ્તા બંધ થયા છે. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. સોનારિયા ગામ નજીક સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા છે. તો સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે. વાવડી નજીક રોડ પર પાણી ફરી વળતા બંધ થયો છે.
સરસ્વતી નદી પણ તોફાની બની
ભારે વરસાદને કારણે સરસ્વતી નદી પણ તોફાની બની છે. ગીર જંગલ અને તાલાળામાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયા છે. નદીનો જળ સ્તર વધતા પ્રાચી તીર્થના કેટલાક વિસ્તારો પાણી ભરાયાં છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
ભારે વરસાદના પગલે મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસટી બસની અંદાજે 265 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોને જોડતી બસોની ટ્રીપ રદ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો-આ જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી