ગુજરાતના આ ગામમાં આજે પણ શેરી ગરબાએ જમાવ્યું છે અનેરું આકર્ષણ
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નૃતય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. જોકે ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી. દેશભરમાં શક્તિનું આરાધના પર્વ નવરાત્રી ધામધૂમથી ઉજવાય રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ગઢ ભીખાપુરા ગામની નવરાત્રીમાં શેરી ગરબાએ અનેરું આકર્ષણ જમાવ્યું છે.
વર્ષોની પરંપરા મુજબ રમાય છે શેરી ગરબા
સમગ્ર દેશમાં શક્તિ પર્વ નવરાત્રી ધામધૂમથી ઉજવાય રહી છે, ત્યારે છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામમાં શેરી ગરબાએ અનેરું આકર્ષણ જમાવ્યું છે. વર્ષોની પરંપરા મુજબ અહીં શેરી ગરબા રમાડવામાં આવે છે. 42 ગામનું વડું મથક ગણાતા ગઢ ભીખાપુરા ગામમાં બજાર મધ્યે આવેલા મા અંબાના મંદિરના ચોકમાં વર્ષોથી ગરબા યોજાય છે. આ ગરબાની ખાસીયત એ છે કે ગરબા એક કુંડાળામાં એક જ લાઈનમાં રમવામાં આવે છે. અહીં મુખ્યત્વે બે તાળી, ત્રણ તાળી, સાત તાલી, અગિયાર તાળી, દોઢીયું, ટેટુડો રમાડવામાં આવે છે. આજુબાજુના 42 જેટલા ગામમાં મુખ્ય ગરબા ચોક હોઈ માઈ ભક્તો મોટી સંખ્યામાં ગરબા જોવા પણ આવતા હોય છે.
મોટી સંખ્યામાં મહાનુભાવો ગરબા જોવાનો લ્હાવો લે છે
ધંધા રોજગાર અર્થે શહેરમાં વસતા લોકો પણ નવરાત્રીમાં ગરબા રમવા ગઢ ભીખાપુરા આવવાનું ચુકતા નથી. નવરાત્રી દરમિયાન નવ દિવસ ગરબા રમતા ખેલૈયાઓને પુરસ્કાર રૂપે લ્હાણી પણ આપવામાં આવે છે. આઠમી નવરાત્રીએ સમૂહ મહાઆરતી પણ યોજવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જિલ્લામાંથી અનેક મહાનુભાવો ગરબા જોવાનો લ્હાવો લેતા હોય છે. નવરાત્રી દરમિયાન સ્થાનિક ગાયક કલાકાર ઈશ્વર ઠાકોર દ્વારા નવ દિવસ જુના પૌરાણિક ગરબા જેમ જસમાં ઓડણ અને ભાથીજીના ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયા મન મૂકીને અલગ અલગ વેશભૂષામાં પારંપરીક ગરબા રમીને ધન્યતા અનુભવે છે.
નવરાત્રી અસત્ય પર સત્યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર
નવરાત્રી એ એકતા અને અસત્ય પર સત્યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.) બીજો રજો ગુણ (જે દયા દર્શાવે છે.) ત્રીજો ગુણ સત્વગુણ (જે સત્ય, સ્વચ્છતા, શાંતિ સ્વભાવ દર્શાવે છે.) આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્ય પર સત્યની જીતના પ્રતિક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો - 1500 દિવડાઓથી બનાવ્યું મા મહાકાળીનું મુખારવિંદ, કાલરાત્રીની કરી અનોખી આરાધના