આજે ભાજપા સંસદીય દળની મહત્ત્વની બેઠક, ત્રણ રાજ્યોમાં નવા CM અંગે થઈ શકે છે ચર્ચા, પીએમ મોદીનું ભવ્ય સન્માન કરાયું
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓની પંસદગી પર સસ્પેન્સ વચ્ચે આજે એટલે કે ગુરુવારે સંસદ ભવન પરિસરના બાલયોગી ઓડિટોરિયમમાં ભાજપા સંસદીય દળની મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ સંસદ સભ્ય પણ હાજર રહ્યા છે. આ બેઠકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીના નામો અંગે પણ ચર્ચા થઈ શકે છે. રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિધિંયા આજે સવારે દિલ્હી ખાતે પહોંચ્યા છે. આથી આ બેઠકમાં વસુંધરા રાજે પણ સામેલ થાય તેવી શક્યતા છે. આ પહેલા બુધવારે અધ્યક્ષ જે.પી. નડ્ડાની અધ્યક્ષતા હેઠળ પાર્ટી મુખ્યમથક ખાતે ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવોની એક બેઠક યોજાઈ હતી.
પીએમ મોદીનું સન્માન કરાશે
સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપા સંસદીય દળની આજે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચંડ જીત મેળવવા બદલ પીએમ મોદીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બીજેપીના લોકસભા અને રાજ્યસભા સાંસદ હાજર રહ્યા છે. સામાન્ય રીતે આ બેઠકમાં પાર્ટીના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયનો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ પહેલા બુધવારે બીજેપીના કેટલાક સાંસદોએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ સાંસદોએ તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી. તમામ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાનો ભાગ રહેશે.
લોકસભાના 9 અને રાજ્યસભાના 1 સાંસદે આપ્યું રાજીનામું
ગઈકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત, આ સાંસદો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પણ મળ્યા હતા. સાંસદ સભ્યપદેથી રાજીનામું આપનારાઓમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ સિંહ પટેલ પણ સામેલ છે.ત્યારે હવે એવી અટકળો ચાલી રહી છે કે રાજીનામું આપનારા સાંસદો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ભાવિ સરકારમાં સામેલ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાના 9 અને રાજ્યસભાના 1 સાંસદે રાજીનામું આપ્યું છે, જેમાં રાજસ્થાનમાં બીજેપીના નેતા કિરોડીલાલ મીણા, દિયાકુમારી અને રાજ્યવર્ધનસિંહ રાઠોડે રાજીનામું આપ્યું છે.મધ્યપ્રદેશની વાત કરીએ તો નરેન્દ્ર સિંહ તોમર, પ્રહ્લાદ સિંહ પટેલ, રાકેશ સિંહ, ઉદય પ્રતાપ અને રીતિ પાઠકે પણ રાજીનામું આપ્યું છે. જ્યારે છત્તીસગઢમાં અરૂણ સાવ અને ગોમતી સાઈએ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો- CYCLONE MICHAUNG: ચેન્નાઈમાં ચક્રવાત મિચોંગના કારણે તબાહી, શાળા-કોલેજો બંધ, પરીક્ષાઓ પણ મોકૂફ