Hanuman Jayanti : રાજ્યભરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
Hanuman Jayanti : આજે દેશભરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હનુમાનજીની નાની દેરીથી લઇને જાણીતા મંદિરોમાં વહેલી સવારથી જ હનુમાનજીના ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિત તમામ શહેર, જિલ્લા-ટાઉનમાં લોકો હનુમાનજીની ભક્તિના રંગે રંગાયા છે. ગાંધીનગરના ડાભોડા હનુમાનજી મંદિરમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો હનુમાનજીને પ્રિય આંકડાનો હાર, સિંદુર, તેલ, શ્રીફળ અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે આખો દિવસ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો થકી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. (Hanuman Jayanti Celebration Across State)
મંગળા આરતી સહિત દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
આજે હનુમાન જયંતિ નિમિત્તે સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભક્તોના ખીચોખીચ ભીડ જોવા મળી રહી છે. આજના વિશેષ દિન નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યાર બાદથી હનુમાનજીને પ્રિય આંકડાનો હાર, તેલ-સિંદુર, અને શ્રીફળ અર્પણ કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં કતારમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યના દેશભરમાં જાણીતા સારંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજીના મંદિરે વહેલી સવારે મંગળા આરતી સહિત દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કષ્ટભંજન દાદાના સાંનિધ્યમાં મારૂતિ યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે. આજના દિવસ નિમિત્તે કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો છે. જેમાં સુવર્ણ વાઘાનો પણ સમાવેશ થાય છે.
મહાપ્રસાદીમાં શાક, રોટલી, દાળ, ભાત અને કેરીનો રસ પીરસાશે
દુર દુરથી કષ્ટભંજન દાદાના દર્શને આવતા ભક્તો માટે મંદિર પરિસર તરફથી વિશેષ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આજે દાદાના સાંનિધ્યમાં આવતા ભક્તોને મહાપ્રસાદીમાં શાક, રોટલી, દાળ, ભાત અને કેરીનો રસ પીરસાશે. તથા કષ્ટભંજન દાદાને અન્નકુટનો મહાથાળ ધરાવવામાં આવશે. કેટલાય શ્રદ્ધાળુઓ આજના દિવસ નિમિત્તે પગપાળા આવીને કષ્ટભંજન દાદાના દર્શન કરે છે, તે લોકોને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે પોલીસ પ્રસાશન અને આરોગ્ય વિભાગ ખડેપડે તૈનાત છે.
આ પણ વાંચો --- Rashifal 12 April 2025 : આ રાશિના જાતકોની આજે વ્યવસાયિક યોજનાઓ સફળ થશે