Gondal કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોની અંતિમયાત્રા નીકળી, સમગ્ર વાતાવરણ શોકમય બન્યું
- રાજકોટના સરધાર નજીક બે કાર વચ્ચે થયેલ અકસ્માતનો મામલો
- મૃત્યુ પામેલ ગોંડલના 4 લોકોની નિકળી અંતિમયાત્રા
- કાર સળગી ઉઠતા 4 લોકોના ઘટના સ્થળે નિપજ્યા હતા મોત
- અંતિમયાત્રા નીકળતા શહેરીજનોમાં પણ શોકનું મોજુ
રાજકોટ ભાવનગર હાઇવે પર અલ્ટો કાર અને હોન્ડા સીટી કાર સામસામી અથડાતા સર્જાયેલ અકસ્માત માં અલ્ટો કાર અગનગોળો બની ગઈ હતી. અલ્ટો કારમાં 8 લોકો સવાર હતા. જેમાં કારમાં સવાર ગોંડલ નાં માતા પુત્રી સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર લોકો ભંડારીયા ગામ પાસે સબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂરો કરી શનિવારે બપોરે ગોંડલ પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન અલ્ટો કાર સરધાર નજીક પહોંચી અને સામે આવતી હોન્ડા સીટી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
4 લોકોના ઘટના સ્થળે નિપજ્યા હતા મોત
અકસ્માત બાદ અલ્ટો કાર રોડથી નીચે ઉતરી જવા પામી હતી. અલ્ટો કારમાં બેઠેલા ગોંડલનાં વિજય નગરમાં રહેતા હેમાંશીબેન શાહીલભાઈ સરવૈયા (ઉ.વ. 19) ,હેતવીબેન અતુલભાઈ મકવાણા (ઉ.વ. 4) ,નિરૂપાબેન અતુલભાઈ મકવાણા (ઉ.વ. 30), મિતુલ અશોકભાઈ સાકરીયા (ઉ.વ.13) આગની ચપેટમાં આવી ગયા હતા અને ઘટના સ્થળે જ ચારેય લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો શાહીલ સરવૈયા (ઉ.વ.22), હિરેન અતુલભાઈ મકવાણા (ઉ.વ.15), નિતુબેન અશોકભાઈ સાકરીયા (ઉ.વ. 40) ગંભીર દાઝી જતા અને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
મૃતકોના મૃતદેહને પી.એમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતકોના પી.એમ કરાયા બાદ મૃતદેહને પરિવાજનોને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહો ગોંડલ પંહોચતા વિજયનગર શોકમગ્ન બની હિબકે ચડયુ હતુ.અને રુદનનો માહોલ સર્જાયો હતો. બપોરે ચારેયની અંતિમયાત્રા સાથે નીકળતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા અને સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું. બહોળી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. વિજય નગરથી નીકળેલી અંતિમયાત્રા ગોંડલી નદી કિનારે આવેલ મુક્તિધામ ખાતે પહોંચી હતી. જ્યાં તમામની અંતિમવિધિ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Surat: બાળમજૂરીનાં રેકેટનો પર્દાફાશ, સગીર બાળકોને ગોંધી રાખી કરાવાતી હતી મજૂરી
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી- ગોંડલ