Vadodara : 500 વર્ષ પછી પણ હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વને યાદ કરાશે તેમ કહી કોંગ્રેસ આગેવાનનું રાજીનામું
ભાજપ એક તરફ લોકસભાની ચૂંટણી ( loksabha election) માટે તડામાર તૈયારી કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ વડોદરા કોંગ્રેસ (Vadodara Congress)માં મોટુ ભંગાણ પડ્યું છે અને વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને...
ભાજપ એક તરફ લોકસભાની ચૂંટણી ( loksabha election) માટે તડામાર તૈયારી કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ વડોદરા કોંગ્રેસ (Vadodara Congress)માં મોટુ ભંગાણ પડ્યું છે અને વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને યુવા નેતા ગણાતા પ્રશાંત પટેલ ઉર્ફે ટીકાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ 17 સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે.
પ્રશાંત પટેલ ઉર્ફે ટીકાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું
આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રુત્વીજ જોશીનો જન્મદિન છે ત્યારે જ વડોદરા કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડ઼તાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલ ઉર્ફે ટીકાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મળી રહેલા સમાચાર મુજબ પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા છે.
17 મી સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે
પ્રશાંત પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 મી સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે. તેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાશે.
પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જોડાશે
પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જોડાશે. સુરેશ પટેલ વર્ષોથી કોંગ્રેસી રહ્યા છે અને તાજેતરમાં તેમણે પણ કોંગ્રેસ છોડી હતી. આ બંને આગેવાનો સાથે તેમના કાર્યકરો પણ ભાજપમાં જોડાઇ શકે છે.
500 વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વને યાદ કરાશે
જો કે પ્રશાંત પટેલે લખેલા બે લીટીના રાજીનામાના પત્રમાં તેમણે રાજીનામું આપવા પાછળ કોઇ ચોક્કસ કારણ આપ્યું નથી પણ મીડિયાને તેમણે કહ્યું કે હું કોઇ ચૂંટણી લડવાનો નથી. મારા અંતરઆત્માએ કહ્યું કે હિન્દુત્વનું રાજ છે તેમાં એક કાર્યકર તરીકે અને જવાબદાર નાગરિક તરીકે મારે જોડાવું છે એટલે હું ભાજપમાં જોડાઇ રહ્યો છું. મારે ભાજપ સાથે જોડાઇને પ્રજાલક્ષી કામ કરવા છે અને 500 વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વને યાદ કરાશે. હું કોંગ્રેસના કાર્યક્રમમાં જતો ન હતો. હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા નરેન્દ્ર મોદીના જન્મદિને હું ભાજપમાં જોડાઇશ. 500 વર્ષ પછી પણ જો હિન્દુ રાષ્ટ્રની વાત આવશે ત્યારે હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા નરેન્દ્ર મોદીને યાદ કરાશે. મારો અંતરઆત્મા કહે તે મુજબ હું ભાજપમાં જોડાઉં છું.
Advertisement