તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી KCR હોસ્પિટલમાં દાખલ, ફાર્મ હાઉસમાં પડી જતા ઇજા થઈ
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી છે કે, ગત રાતે કેસીઆર એર્રાવલ્લી ખાતેના તેમના ફાર્મહાઉસમાં પડી ગયા હતા, જેના કારણે તેમને ઇજા થઈ હતી. જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે ગુરુવારે રેવંત રેડ્ડીએ તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજે તેમને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ફાર્મહાઉસમાં પડી જવાના કારણે કેસીઆરને ઇજા થઈ હતી. આથી તેમણે તાત્કાલિક હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે લોકોને મળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કેસીઆરની બીઆરએસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં BRSની કારમી હાર
કોંગ્રેસે બીઆરએસને હરાવી રાજ્યની 119 વિધાનસભા બેઠકોમાંથી 64 પર જીત મેળવી હતી, જ્યારે બીઆરએસને માત્ર 39 બેઠક મળી હતી. કોંગ્રેસે રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કેસીઆરના 10 વર્ષના શાસનનો અંત આણ્યો હતો. તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 11 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા, જેમાં બે મહિલા ધારાસભ્યનો સમાવેશ થાય છે. ઉત્તમ કુમાર રેડ્ડી, સી દામોદર રાજનરસિમ્હા, કોમાટી રેડ્ડી વેંકટ રેડ્ડી અને ડી. શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, થુમ્માલા નાગેશ્વર રાવ, સીતાક્કા, કોંડા સુરેખા, જુપલ્લી કૃષ્ણ રાવ અને પોન્નમ પ્રભાકરે તેલંગાણાના મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના પ્રમુખ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અન્ય ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો- TMC સાંસદ મહુઆ મોઇત્રાની વધશે મુશ્કેલી! આજે લોકસભામાં રજૂ થઈ શકે છે એથિક્સ કમિટિનો રિપોર્ટ, સસ્પેન્ડ કરવાની ભલામણ