એસ. જયશંકરે બિલાવલ ભુટ્ટોને દુરથી નમસ્તે જ કર્યું પણ હાથ ના મિલાવ્યા....જાણો SCO બેઠકમાં શું થયું...
વિદેશ મંત્રી એસ. જયશંકરે SCO બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું દૂરથી નમસ્તે કહીને સ્વાગત કર્યું હતું પણ હાથ મિલાવ્યા ન હતા. બંને વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ નથી. બિલાવલ ભુટ્ટો-ઝરદારી ગુરુવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની સમિટમાં ભાગ લેવા માટે...
01:06 PM May 05, 2023 IST
|
Vipul Pandya
વિદેશ મંત્રી એસ. જયશંકરે SCO બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું દૂરથી નમસ્તે કહીને સ્વાગત કર્યું હતું પણ હાથ મિલાવ્યા ન હતા. બંને વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ નથી. બિલાવલ ભુટ્ટો-ઝરદારી ગુરુવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની સમિટમાં ભાગ લેવા માટે ગોવા પહોંચ્યા હતા.તેઓ લગભગ 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પાકિસ્તાનના પ્રથમ વિદેશ પ્રધાન બન્યા. 2011 પછી પડોશી દેશ પાકિસ્તાન તરફથી ભારતની આ પ્રકારની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
અનેક મુદ્દાઓને લઈને બંને દેશો (ભારત અને પાકિસ્તાન) વચ્ચે તણાવ વધી રહ્યો છે
બિલાવલ એવા સમયે SCO કાઉન્સિલ ઑફ ફોરેન મિનિસ્ટર્સ (CFM) ની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા જ્યારે સરહદ પારના આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થન સહિત અનેક મુદ્દાઓને લઈને બંને દેશો (ભારત અને પાકિસ્તાન) વચ્ચે તણાવ વધી રહ્યો છે.
રિસેપ્શનમાં પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ ભાગ લીધો
જયશંકરે સાંજે રશિયા, ચીન, પાકિસ્તાન અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ માટે ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું. આ સાથે ગ્રુપની બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. બેનૌલિમમાં દરિયા કિનારે તાજ એક્ઝોટિકા રિસોર્ટમાં આયોજિત આ રિસેપ્શનમાં પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ ભાગ લીધો હતો. જો કે, બિલાવલની સાથે રહેલા પાકિસ્તાનના કેટલાક અધિકારીઓએ દાવો કર્યો હતો કે જયશંકરે અન્ય નેતાઓની જેમ તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ ભારત તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
ભારત અને પાકિસ્તાન બંને પક્ષો એકબીજાથી અંતર રાખતા દેખાયા
આ પહેલા વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન વિભાગના પ્રિન્સિપલ જોઈન્ટ સેક્રેટરી જેપી સિંહે પાકિસ્તાનના વિદેશ મંત્રીનું ગોવાના એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ભુટ્ટો-ઝરદારીની ગોવાની બે દિવસીય મુલાકાત અંગે મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે, તેમ છતાં ભારત અને પાકિસ્તાન બંને પક્ષો એકબીજાથી અંતર રાખતા દેખાયા હતા.
મને આશા છે કે SCO CFM બેઠક સફળ રહેશે
બિલાવલે પત્રકારોને જણાવ્યું હતું કે, “SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે ગોવા પહોંચીને હું ખૂબ જ ખુશ છું. મને આશા છે કે SCO CFM બેઠક સફળ રહેશે. બિલાવલે 'સલામ, ગોવા ફ્રોમ ઈન્ડિયા' શીર્ષક સાથે ટ્વિટ કર્યું, "અસ્લામુઅલૈકુમ, અમે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે ગોવા પહોંચી ગયા છીએ." તેમણે એક નાનકડા વીડિયોમાં કહ્યું, “હું સૌપ્રથમ રશિયન વિદેશ મંત્રી સાથે મુલાકાત કરીશ. ત્યારબાદ ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત થશે. હું તમામ વિદેશ મંત્રીઓ માટે આયોજિત ડિનરમાં હાજરી આપીશ.
મારી મુલાકાત ખાસ કરીને SCO પર કેન્દ્રિત
ગોવા જતા પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલે કહ્યું કે, "આ બેઠકમાં ભાગ લેવાનો મારો નિર્ણય SCOના ચાર્ટર પ્રત્યે પાકિસ્તાનની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. મારી મુલાકાત ખાસ કરીને SCO પર કેન્દ્રિત છે અને હું મિત્ર દેશોના મારા સમકક્ષો સાથે રચનાત્મક ચર્ચા કરવા આતુર છું,"
બિલાવલ 2011 પછી ભારતની મુલાકાત લેનારા પાકિસ્તાનના પ્રથમ વિદેશ મંત્રી
બિલાવલ 2011 પછી ભારતની મુલાકાત લેનારા પાકિસ્તાનના પ્રથમ વિદેશ મંત્રી છે. તે પહેલા હિના રબ્બાની ખાર 2011માં પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકે શાંતિ મંત્રણા માટે ભારતની મુલાકાતે આવી હતી. ખાર હાલમાં વિદેશ રાજ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. મે 2014 માં, પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. આ પછી ડિસેમ્બર 2015માં તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશની ટૂંકી મુલાકાતે ગયા હતા.
શાહવાઝ શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાની ઓફર કરી હતી
SCOની બેઠકમાં ભાગ લેવા માટે જાન્યુઆરીમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેના થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહવાઝ શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાની ઓફર કરી હતી. તેમણે દુબઈ સ્થિત અલ અરેબિયા ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત પાડોશી દેશો છે અને તેઓએ "એકબીજા સાથે રહેવું" છે. શરીફે કહ્યું હતું કે, " તે આપણા પર નિર્ભર છે કે આપણે શાંતિથી જીવીએ, પ્રગતિ કરીએ કે આપણી વચ્ચે લડીએ અને સમય અને સંસાધનોનો બગાડ કરીએ. અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને તેનાથી લોકોની વ્યથા, ગરીબી અને બેરોજગારીમાં વધારો થયો છે. જો કે, બાદમાં પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે કાશ્મીર પર 2019ના પગલાને પાછા લીધા વિના ભારત સાથે વાતચીત શક્ય નથી.
Next Article