દિલ્હીમાં પૂરનો ખતરો ,લાલ કિલ્લો પર્યટકો માટે બંધ, રાજઘાટ પાણી-પાણી
યમુનાનું જળસ્તર ભલે ઘટી રહ્યું હોય, પરંતુ દિલ્હીમાં પૂરનું સંકટ હજુ પણ યથાવત છે. યમુના નદી હજુ પણ ખતરાના નિશાનથી 3 મીટર ઉપર વહી રહી છે. રાજધાનીના ઘણા વિસ્તારો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. ITO પાસે પાણી ભરાયા છે. નદી કિનારે વસાહતોથી આગળ વધીને પાણી લાલ કિલ્લા અને રિંગરોડ સુધી પહોંચી ગયું. જેના કારણે આજે લાલ કિલ્લામાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ શાળાઓને 16 જુલાઈ સુધી બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એલજી વિનય સક્સેના સાથે ફોન પર વાત કરી છે.
લાલ કિલ્લો પર્યટકો માટે બંધ કરાયો
દિલ્હીમાં યમુનાના પાણી છેક લાલ કિલ્લા સુધી પહોંચી ગયાં છે. વરસાદને કારણે આર્કિયોલોજિકલ સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લાલ કિલ્લો પર્યટકો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પ્રગતિ મેદાન ટનલ ફરીવાર ખૂલવાને કારણે લોકોને થોડી રાહત પ્રાપ્ત થઇ હતી. દિલ્હીનું સૌથી મોટું સ્મશાન ગૃહ નિગમ બોધ ઘાટમાં પાણી ભરાઇ ગયું હતું જે કારણે હવે મૃતકોના દાહ સંસ્કારની સમસ્યા પણ ઉદભવી છે.
યમુનાના જળસ્તરમાં 17 સેમીનો ઘટાડો થયો
કહેવામાં આવી રહ્યું છે કે યમુનાના જળસ્તરમાં 17 સેમીનો ઘટાડો થયો છે. જો કે, હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારો (જાફરપુર, નજફગઢ, દ્વારકા, પાલમ, IGI એરપોર્ટ, આયાનગર, દેરામંડી) અને NCR (ગુરુગ્રામ), ગોહાના, સોનેપતમાં હળવા વરસાદની આગાહી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે જો આ વિસ્તારોમાં વરસાદ થશે તો દિલ્હીવાસીઓની મુશ્કેલી વધી શકે છે.
કેટલાક રોડ સંપૂર્ણ બંધ કરાયા
પાણી ભરાવાને કારણે કેટલાક રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. યમુના બેન્ક મેટ્રો સ્ટેશન પર પ્રવેશ અને નિકાસને બંધ કરાયા છે. ભારે વરસાદને કારણે રેલવે સેવા પ્રભાવિત થઇ છે. ઘણીં ટ્રેનોને આંશિક રીતે રદ કરાઇ છે. યમુના બ્રિજ પર પૂરનું પાણી ફરી વળતા રેલવે ટ્રાફિકને અસર થઇ છે. અનેક વિસ્તારોમાં યમુનાના પાણી ફરી વળવાને કારણે લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો -CHANDRAYAN-3 આ વખતે 10 તબક્કામાં પહોંચશે ચંદ્ર સુધી, જાણો કેવી રીતે કરશે કામ