Bharuch: લ્યો બોલો! ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો રીન્યુ જ નથી કરાઈ
Bharuch: રાજકોટની ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી હતી. 28 લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતાં ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યાં છે. જે રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદિર-મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, ટ્યૂશન ક્લાસિસ ,થિયેટર અને ફુડ માર્કેટ સહિતના વસ્તી ગીચતાવાળા સ્થળોએ તેમજ ગેમઝોન સહિતના સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યાં છે. જેમાં જેમની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ પણ કર્યો છે. લોકોમાં પાડાને વાંકે પખાલીને ડામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે.
NOC ન હોય તેમને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી
નોંધનીય છે કે, સુરક્ષાને લઇને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે જ સરકાર દ્વારા આળખ ખંખેરીને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહી છે. જોકે, ત્યારે Bharuch સરકારી તંત્રની કચેરીઓમાં જ ફાયર સેફ્ટીને લઇને કેટલી તકેદારી રખાઇ છે તેનું મુલ્યાંકન કરવું પણ જરૂરી બની ગયું છે. ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમઝોન, હોસ્પિટલો, ક્લાસિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમાંય ભરૂચમાં બે ગેમઝોનમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે.ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઇને શું હાલ છે તે તરફ તંત્ર જ બેધ્યાન છે.
અનેક કચેરીઓમાં બોટલો રીન્યુ કરાવાઇ નથી
મળતી જાણકારી પ્રમાણે શહેરમાં કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, નગરપાલીકા, જિલ્લા પંચાયત કચેરી તેમજ બહુમાળીમાં આવેલી ઓફિસોની મુલાકાત લઇ તપાસ કરતાં માત્ર કલેક્ટર, મામલતદાર તેમજ નગરપાલિકામાં જ ફાયર એક્સટિંગ્યુશરના બોટલો રીન્યુ કરેલાં હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બાકીની કચેરીઓમાં બોટલો રીન્યુ કરાવાઇ ન હતી. જેમાં Bharuch જિલ્લા પંચાયતના બોટલો મે 2020માં તેમજ જાન્યુઆરી 2024માં એક્સપાયર થઇ ગયાં હતાં. જ્યારે બહુમાળીમાં આવેલી વન વિભાગ, શ્રમ આયોગ સહિતની ઓફિસોમાં લગાવાયેલાં એક્સટિંગ્યુશરના બોટલો 2021ના મેન્યુફેક્ટરના સ્ટિકર લાગેલાં છે. જોકે, તેમાં તેના એક્સપાયરીનું કોઇ સ્ટિકર લાગેલું જણાયું ન હતું.
અધિકારીઓ એક્સટિંગ્યુશર રિફિલ કોણ કરે છે તેનાથી અજાણ
નોંધનીય છે કે, આપાતકાલિન સમયને ધ્યાનમાં રાખીને જોઇએ એકમાત્ર કલેક્ટર અને મામલતદાર કચેરીમાં અલગ અલગ ત્રણ રસ્તા હોવાથી આગ જેવી સ્થિતીમાં લોકોને નિકળવા માટે વિકલ્પ મળે તેમ છે. જોકે, ભરૂચ નગરપાલિકા, જિલ્લા પંચાયત, બહુમાળી ઇમારત, આરએન્ડબીની કચેરીમાં એક જ દરવાજો હોવાને કારણે અફરાતફરી મચવાની શક્યતાઓ છે. વિવિધ કચેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવતાં અધિકારીઓમાં ફફડાંટ ફેલાયો હતો. બહુમાળીમાં કેટલાંક અધિકારીઓ સાથે ફાયર એક્સટિંગ્યુશરના એક્સપાયર થવા અંગે પુછપરછ કરતાં કેટલાંકે જણાવ્યું હતું કે, તેમની ઉપરી કચેરી દ્વારા તે કામગીરી થાય છે, તો કેટલાંકે જણાવ્યું હતું કે, આરએન્ડબી વિભાગ અંદર અમારી કચેરીની ઇમારત આવે છે. તેઓ દ્વારા કામગીરી કરવાની હોય છે.
ખાનગી સ્થળો બાદ સરકારી કચેરીઓમાં પણ ચેકિંગ કરીશું
આ બાબતે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ દેસાઇએ જણાવ્યું કે, ‘ગેમઝોન, સ્કૂલ, ક્લાસિસ તેમજ હોસ્પિટલ સહિતના સ્થળોએ હાલમાં અમે ચેકિંગ કરી રહ્યાં છે. જ્યાં જ્યાં અમને કોઇ ક્ષતિ જણાય છે તેમને તેના સુધારા માટે માર્ગદર્શન આપવા સાથે જો એનઓસી કે અન્ય જરૂરી દસ્તાવેજ- પરમિશન ન હોય તો તેમને નોટિસ આપવામાં આવી રહી છે. ખાનગી સ્થળોએ ચેકિંગ કર્યાં બાદ અમે સરકારી કચેરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવાના છે. દરેક સરકારી કચેરીમાં ફાયર સેફ્ટીને લઇને કેવી સુવિધા છે. ફાયર એક્સટિંગ્યુશર બરાબર છે કે નહીં તે સહિતની તમામ બાબતો ચકાસવામાં આવશે. જે સરકારી કચેરીમાં સુરક્ષાને લઇને ક્ષતિ ધ્યાનમાં આવશે તેમને સામાન્ય લોકોની જેમ જ નોટિસ આપવામાં આવશે.’