Veraval: નગરપાલિકાના પાપે ધરતીપુત્રો પરેશાન, અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય!
Veraval Municipality: ગીર સોમનાથના પાટનગર વેરાવળ નગરપાલિકા તંત્રના પાપે અત્યારે ધરતીપુત્રો પરેશાન જોવા મળી રહ્યા છે. વેરાવળ નગરપાલિકાના કમ્પોઝયાર્ડમાંથી સતત ડસ્ટિંગ સાથે વાયુ પ્રદુષણ સર્જાયું છે. ઘનકચરાના નિકાલની કામગીરીમાં એજન્સી દ્વારા બેદરકારી રાખી બાયોવેસ્ટ સહિત પ્લાસ્ટિકનો કચરો સળગાવતો હોવાથી ભયંકર ધુમાડાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં પરંતુ ટ્રોમિલ મશીનને આડશ નહીં કરતાં ભયંકર ડાસ્ટિંગથી ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે.
રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યોઃ ખેડૂતો
તમને જણાવી દઇએ કે, કમ્પોઝ યાર્ડમાં જૈવીક કચરાના ધુમાડાથી આરોગ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે કમ્પોઝ યાર્ડ આસપાસ 250 વધુ ખેડૂત પરિવાર વસવાટ કરી રહ્યાં છે. ખેડૂતો દ્વારા પાલિકના ચીફ ઓફિસરને અનેક રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આટલી રજુઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ નહીં આવ્યાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. તસવીરોમાં દેખાતા ભયંકર વાયુ પ્રદુષણના આ દ્રશ્ય વેરાવળ નગરપાલિકાના કમ્પોઝ યાર્ડના છે.
ઘન કચરાના પહાડો સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે
છેલ્લા ઘણા વર્ષોથી અહીં શહેરનો લાખો ટન ઘનકચરો ઠાલવવામાં આવતા ઘન કચરાના પહાડો સર્જાયા છે. એટલું જ નહીં પરંતુ આ ઘન કચરામાંથી ભયંકર પ્રદુષણ ઉદભવી રહ્યું છે. પાલિકાના કમ્પોઝયાર્ડ આસપાસ 250થી વધુ ખેડૂત પરિવાર વસવાટ કરે છે જેના આરોગ્ય તેમજ ખેતી પર સતત પ્રદુષણનું જોખમ તોળાઈ રહ્યું છે. છેલ્લા થોડા સમયથી અહીં ઘન કચરાના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે, અહીં ઠલવાતા જૈવિક કચરા તેમજ પ્લાસ્ટિકને સળગાવી નિકાલ કરવામાં આવતા ભયંકર ધુમાડો ઉત્તપન્ન થઈ રહ્યો છે. તેની સાથે સાથે ઘન કચરાના ટ્રોમિલ મશીન દ્વારા થતાં નિકાલથી ડસ્ટિંગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.
આરોગ્ય તેમજ ખેતી પર સતત પ્રદુષણ નું જોખમ
નોંધનીય છે કે, ખેડૂતોનો આક્ષેપ છે કે આ પ્રદુષણ મુદ્દે અવારનવાર પાલિકાના ચીફ ઓફિસર સહિત જવાબદાર તંત્રને રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી.એક તરફ જવાબદાર પાલિકા તંત્ર દ્વારા જ પ્રદુષણ ફેલાવાઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા દ્વારા પ્રદુષણનો સ્વીકાર તો કર્યો સાથે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે વિશાળ જગ્યા હોવાથી આડશ શક્ય નથી. તેમજ કાયમી ઉકેલ માટે જ્યાં સુધી પ્લાન્ટ ચાલશે ત્યાં સુધી પ્રદુષણની બાબત ચલાવવી પડશે. આ ઉપરાંત અસરગ્રસ્ત ખેડૂતોને વિના મૂલ્યે 500 ટન ખાતર આપવામાં આવે છે. વેરાવળમાં પાલિકાના પ્રદુષણનો ભોગ જગતના તાત બની રહ્યા છે ત્યારે જવાબદાર તંત્રએ સત્વરે ઉકેલ લાવવો અનિવાર્ય છે.