આજે દેશભરમાં 'National Youth Day 2025' ની ઉજવણી, જાણો તેનું કારણ, મહત્ત્વ અને ઇતિહાસ
- આજે દેશભરમાં 'National Youth Day 2025' ની ઉજવણી
- મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા, સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતી
- ભારત સરકારે તેમના જન્મદિવસને 'રાષ્ટ્રીય યુવા દિવસ' ઊજવવાનું નક્કી કર્યું
ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય યુવા દિવસ' (National Youth Day 2025) ઊજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે, ભારતનાં મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની (Swami Vivekananda) જન્મજયંતી ઊજવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસની શરૂઆત વર્ષ 1985 માં થઈ હતી. જ્યારે, ભારત સરકારે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી આ રીતે ઊજવવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો - મકરસંક્રાંતિ, લોહરી, પોંગલ ક્યારે છે? જાણો આ તહેવારોની ઉજવણીની રીત અને મહત્વ
શિકાગોમાં ધર્મસભામાં ભાષણ બાદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી
સ્વામી વિવેકાનંદે આત્મનિર્ભરતા, શિસ્ત, શિક્ષણ અને રાષ્ટ્રીયનાં વિકાસ મૂલ્યો પર ભાર મૂક્યો હતો, જે આજે પણ લાખો યુવાનોને પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદ વિશે વાત કરીએ તો તેમનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત (Narendranath Dutta) હતું. તેઓ ઇતિહાસમાં એક એવા વિદ્વાન તરીકે ઓળખાય છે કે જેમણે માનવ સેવાને પોતાનો સર્વોચ્ચ ધર્મ માન્યો હતો. 12 જાન્યુઆરી, 1863 ના રોજ બંગાળમાં જન્મેલા સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) એક એવા ભારતીય સાધુ હતા કે જેમણે અમેરિકાનાં (America) શિકાગોમાં ધર્મસભામાં પોતાના અદભુત ભાષણથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી.
રાષ્ટ્રીય યુવા દિવસ કેમ ઊજવવામાં આવે છે ?
તેઓ તેમના શક્તિશાળી અને સ્પષ્ટવક્તા ભાષણોને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા, ખાસ કરીને યુવાનોમાં. એટલા માટે ભારત સરકારે તેમના જન્મદિવસને 'રાષ્ટ્રીય યુવા દિવસ' (National Youth Day 2025) તરીકે ઊજવવાનું નક્કી કર્યું હતું. માનવ સેવા અને પરોપકાર માટે સમર્પિત સ્વામી વિવેકાનંદે 1897 માં કોલકાતામાં રામકૃષ્ણ મિશનની (Ramakrishna Mission) સ્થાપના કરી હતી. ત્યારબાદ, 1898 માં તેમણે ગંગા નદીનાં કિનારે બેલુર ખાતે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. તેમણે આ સંસ્થાઓનું નામ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના (Ramakrishna Paramahansa) નામ પરથી રાખ્યું. 1984 માં, સ્વામી વિવેકાનંદનાં જન્મદિવસને (Swami Vivekananda Jayanti) રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી દર વર્ષે 12 જાન્યુઆરીએ, આ દિવસ યુવાનોને પ્રેરણા અને ઉત્થાન આપવા માટે સમર્પિત છે.
આ પણ વાંચો - શિયાળામાં ફક્ત 21 દિવસ ખાઓ આ ખોરાક, શરીરમાં વિટામિન B-12ની ઉણપ થશે દુર
રાષ્ટ્રીય યુવા દિવસ કેવી રીતે ઊજવવામાં આવે છે ?
રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day 2025) દેશભરમાં અલગ-અલગ રીતે ઊજવવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધાઓ, ચર્ચા સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સરકાર પણ આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
રાષ્ટ્રીય યુવા દિવસનું મહત્ત્વ શું છે ?
રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day 2025) એ સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને આદર્શોની ઉજવણી છે. તેમનું માનવું હતું કે સમાજમાં પરિવર્તન લાવવાની સૌથી મોટી શક્તિ યુવાનોમાં છે. રાષ્ટ્રીય યુવા દિવસનું મહત્ત્વ એટલા માટે પણ છે કારણ કે તે યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં તેઓ પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ વ્યક્ત કરી શકે છે. આ દિવસ યુવાનોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃત કરવાનો પણ એક અવસર છે.
આ પણ વાંચો - Baba Ramdev Health Tips: આ ફોર્મુલા અપનાવશો તો બાબા રામદેવની જેમ ફિટ રહેશો!