BSP સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી બનાવી સોંપ્યો વારસો
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ આજે લખનૌમાં આયોજિત પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય કર્યો છે. સૂત્રો મુજબ, પાર્ટી અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા માયાવતીએ આ મોટી જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવ્યા છે. પાર્ટીની આ બેઠકમાં તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને તમામ રાજ્યોના પાર્ટીના પ્રમુખ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આજે સવારે પાર્ટીની બેઠકમાં માયાવતી આકાશ આનંદ સાથે પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં આકાશ આનંદને પાર્ટીમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષ દરમિયાન આકાશની સક્રિયતા પાર્ટીમાં વધી હતી. શરૂઆતમાં માયાવતીએ લોકો સાથે આકાશ આનંદનો પરિચય અલગ-અલગ મંચ પરથી કરાવ્યો હતો. માયાવતીએ આકાશ આનંદને પાર્ટી કો-ઓર્ડિનેટર જેવી મહત્ત્વની જવાબદારી પણ આપી હતી. આકાશે અન્ય રાજ્યોમાં સંગઠનની બેઠક અને સભાઓ પણ કરી હતી. આકાશ આનંદ માયાવતીના નાનાભાઈ આનંદ કુમારના દીકરા છે.
રવિવારે પાર્ટીના પ્રદેશ અધિકારીઓની બેઠક બાદ માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દરમિયાન આકાશની ઉત્તરાધિકારી તરીકે જાહેરાત કરવામાં આવી. જો કે, એવું માનવામાં આવતું હતું કે માયાવતીના નેતૃત્વમાં BSP લોકસભાની ચૂંટણી લડશે. માયાવતીએ પહેલા જ જાહેરાત કરી હતી કે BSP દેશની સામાન્ય ચૂંટણી એકલા હાથે લડશે. પરંતુ, હવે આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી જાહેર કર્યા બાદ, બસપા દ્વારા પણ ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.
કોણ છે આકાશ આનંદ?
આકાશ આનંદ માયાવતીના ભાઈ આનંદ કુમારા દીકરા છે. આકાશે લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) નો અભ્યાસ કર્યો છે. વર્ષ 2017માં માયાવતી આકાશને રાજનીતિમાં લાવ્યા હતા. હંમેશા પરિવારવાદ વિરુદ્ધ બોલનાર માયાવતીએ ક્યારેય પોતાના ભાઈ આનંદ કુમારને પ્રાધાન્ય આપ્યું નથી. પરંતુ, વારસાના રાજકારણને આગળ ધપાવવા માટે, તેમણે તેમના ભત્રીજા આકાશ આનંદને આગળ કર્યો છે. સાલ 2017માં સહારનપુરની રેલીમાં માયાવતી આકાશ આનંદને પોતાની સાથે સ્ટેજ પર લાવ્યા હતા. ત્યારથી તેમને માયાવતીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. આખરે રવિવારે તેમણે આ મામલે મોટી જાહેરાત કરી છે.