આર્યન ખાન કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, સમીર વાનખેડેએ કર્યો આ દાવો...
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી વિવાદમાં ફસાયા છે. તેના પર આર્યન ખાનને પૈસાની આડમાં ડ્રગ્સના કેસમાં બળજબરીથી ફસાવવાનો આરોપ છે. જ્યારે આર્યન ડ્રગ્સ કેસને કારણે જેલમાં હતો ત્યારે શાહરૂખ ખાન અને સમીર વાનખેડે વચ્ચે વોટ્સએપ પર વાતચીત થઈ હતી. બંને વચ્ચે શું થયું, તે ચેટ હવે સામે આવી છે.
સમીર વાનખેડેએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં અભિનેતા સાથેની વાતચીતનો ખુલાસો કર્યો છે. તેનો દાવો છે કે, આ મેસેજ તેને શાહરૂખે મોકલ્યા હતા. જેમાં શાહરૂખે વારંવાર વાનખેડેને જેલમાં પુત્ર આર્યનની સંભાળ રાખવાની અપીલ કરી હતી. વાનખેડેને ઘણી વખત વિનંતી કરતાં અભિનેતાએ લખ્યું હતું કે, કૃપા કરીને આર્યન પ્રત્યે થોડા નરમ બનો.
સમીર વાનખેડે સાથે શાહરૂખે શું કરી વાતચીત?
વોટ્સએપ ચેટમાં શાહરૂખે લખ્યું, હું આર્યન ખાનને એવો વ્યક્તિ બનાવવાનો પૂરો પ્રયાસ કરીશ જેના પર તમને અને મને ગર્વ થશે. આ ઘટના તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. હું તમને આની ખાતરી આપું છું. આપણને પ્રામાણિક અને મહેનતુ યુવાનોની જરૂર છે જે દેશને આગળ લઈ જઈ શકે. તમે અને મે અમારી જવાબદારી નિભાવી છે જેને આવનારી પેઢી અનુસરશે. ભવિષ્ય માટે તેમાં પરિવર્તન લાવવાનું આપણા હાથમાં છે. તમારા સમર્થન અને દયા માટે ફરી એકવાર આભાર.
આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, એનસીબી તેના પર લાગેલા આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા પછી ત્રણ અઠવાડિયા પછી બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યનને જામીન આપવામાં આવ્યા હતા.
સમીર વાનખેડે પણ વિવાદોમાં છે
બીજી તરફ સમીર વાનખેડે પોતે પણ વિવાદોમાં ઘેરાયેલા છે. તેના પર આરોપ છે કે તેણે આર્યન ખાનને આરોપી ન બનાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી છે. તેને રદ કરવાની વિનંતી સાથે તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં વાનખેડેએ એમ પણ કહ્યું છે કે સીબીઆઈ એફઆઈઆરના સંબંધમાં તેમની સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવે. સીબીઆઈએ તાજેતરમાં વાનખેડે અને અન્ય ચાર વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. મુંબઈમાં સીબીઆઈ અધિકારીઓએ ગુરુવારે વાનખેડેને આ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે તપાસ એજન્સી સમક્ષ હાજર થયો ન હતો.