યુવરાજસિંહ હાજીર હો ! ડમી રાઇટર કાંડમાં ભાવનગર પોલીસે પાઠવ્યું સમન્સ
ડમી રાઇટર કાંડમાં યૂવરાજ સિંહ કાયદાની જાળમાં ફસાયા છે.. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમન્સ પાઠવ્યું છે.. ભાવનગર એસઓજીએ યુવરાજસિંહને આવતીકાલે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે.ડમી રાઇટર કાંડમાં યુવરાજસિંહ પર નાણાકીય વ્યવહાર કરવાનો આક્ષેપ છે. આ કેસમાં કોણે-કોણે નાણાકીય વ્યવહાર કર્યા છે તેની હાલ તપાસ ચાલી રહી છે.
જાણો સમગ્ર મામલો
યુવરાજસિંહ દ્વારા ગત પાંચ એપ્રિલે ચાર ડમી ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને તેમને ભાવનગરની કોર્ટમાં રજૂ કરતાં તમામના 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. જ્યારે આ મામલે LCBના ઈન્ચાર્જ PI દ્વારા 36 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જે પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના જ હોવાનું જાણવા મળ્યું છે.
આ સમયગાળા દરમિયાન જ યુવરાજસિંહ પર તેમના જ મિત્ર બિપીન ત્રિવેદી દ્વારા ડમી ઉમેદવારોના નામ નહી જાહેર કરવાનો આક્ષેપ કરતો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ડમી ઉમેદવારના કૌભાંડમાં ઉમેદવારોના નામ નહી લેવા માટે તોડ કરવાનો આક્ષેપ થયો હતો. જે બાદ આ મામલે યુવરાજસિંહનો પક્ષ રજુ કરવા માટે ભાવનગર પોલીસે તેમને સમન્સ પાઠવ્યું છે.
કેવી રીતે આચરતા કૌભાંડ?
આરોપીઓ રૂપિયા લઈને ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડતા હતા. આ માટે જે-તે ઉમેદવારના સાથે ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હતા. આ માટે ઉમેદવારો પાસેથી મોટી રકમ પણ પડાવવામાં આવતી હતી. આરોપી શરદ પનોત અને પીકે દવે ડમી ઉમેદવારકાંડમાં મહત્ત્વની ભૂમિકા સામે આવી રહી છે. જ્યારે બળદેવ રાઠોડ કૉમ્પ્યુટરની મદદથી ઉમેદવારના ડૉક્યુમેન્ટ સાથે ચેડા કરતો હતો.