સતત બીજી વાર ગૃહ મંત્રીનો ચાર્જ સંભાળતા Amit Bhai Shah
Amit Shah : નરેન્દ્ર મોદી સરકાર 3.0ની રચના થયા બાદ મંત્રીઓને વિભાગોની ફાળવણી થઇ ગઇ છે અને મંગળવારે સવારથી જ નવા મંત્રીઓએ પોતાના વિભાગમાં જઇને ચાર્જ સંભાળી લીધો હતો. અમિત ભાઇ શાહે (Amit Shah ) પણ આજે ગૃહ પ્રધાન તરીકે સતત બીજી વાર ચાર્જ સંભાળ્યો હતો. અમિતભાઇ શાહે ગૃહ વિભાગની સાથે સહકાર મંત્રાલયનો પણ ચાર્જ લીધો હતો.
અમિત શાહે સંભાળ્યો ચાર્જ
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા અમિત શાહને તેમનું ગૃહ મંત્રાલય યથાવત રહ્યું છે. અમિત શાહ હવે ફરીથી કેંદ્રમાં ગૃહ અને સહકારીતા મંત્રાલય સંભાળી રહ્યા છે. અમિત શાહ 2019 માં કેન્દ્રમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. ગાંધીનગર બેઠક પર અમીત શાહને 7, 44, 716 મતોની જંગી લીડ મળી હતી.
તેમણે 2019માં અનેક ઐતિહાસીક નિર્ણયો લીધા હતા
2019માં અમિત શાહ ગૃહ મંત્રી બન્યા ત્યારબાદ તેમણે અનેક ઐતિહાસીક નિર્ણયો લીધા હતા. તેમણે સંસદમાં પણ આક્રમક્તાથી પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ત્યારબાદ તેઓ દેશભરમાં લોકપ્રિય થઇ ગયા હતા. 2014માં કેન્દ્રમાં ભાજપ સરકાર બની ત્યારે તેઓ રાષ્ટ્રીય પ્રમુખ હતા અને તેમની આગેવાની હેઠળ ભાજપે માઇક્રોપ્લાનીંગ કરી સંગઠનને મજબૂત કર્યું હતું અને ચૂંટણી જીતી હતી
કલમ 370 ની નાબૂદી, CAA જેવા મહત્વપૂર્ણ બિલો
2019માં ગૃહમંત્રી તરીકેના અમિત શાહના કાર્યકાળમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. કશ્મીરમાંથી કલમ 370 ની નાબૂદી, CAA જેવા મહત્વપૂર્ણ બિલો આવ્યા હતા.
તેમણે સહકાર મંત્રાલય પણ સંભાળ્યું
આ સાથે તેમણે સહકાર મંત્રાલય પણ સંભાળ્યું હતું. સહકાર મંત્રાલય દેશમાં પહેલીવાર ઉભુ કરાયું હતું અને તે વિભાગના અમિત શાહ પહેલા મંત્રી બન્યા હતા. તેમણે દેશભરના સહકારી માળખાને પણ સુદ્રઢ કરવાના ઘણા નિર્ણયો કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર 3.0માં તેમને ફરી એક વાર સહકાર મંત્રીનો પણ હવાલો આપવામાં આવ્યો છે.
વિદ્યાર્થી નેતાથી લઈ રાષ્ટ્રીય નેતા સુધીની સફરનો અનુભવ
મહત્વનું છે કે વિદ્યાર્થી નેતાથી લઈ રાષ્ટ્રીય નેતા સુધીની સફરનો અનુભવ પણ તેમની પાસે બહોળો છે. કાર્યકર્તાથી લઈ પ્રજા સાથે તેમનો સીધો નાતો રહેલો છે. પાછલા પાંચ વર્ષની જો વાત કરીએ તો પોતાના સંસદીય મત વિસ્તારમાં તેમણે 22 હજાર કરોડથી પણ વધુ વિકાસલક્ષી કાર્યો કર્યા છે. કલમ 370 દૂર કરવાનો તખ્તો તૈયાર કરવાનો શ્રેય પણ તેમના જ શીરે જાય છે. સીમા સુરક્ષાથી લઈ પોતાના મત વિસ્તારની જેઓ સતત ચિંતા કરે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસું સાથીની યાદીમાં પણ તેમનું નામ મોખરે છે. પોતાની સાતેય વિધાનસભા વિસ્તારમાં એક સમાન થયેલા વિકાસના કામો જેમાં, સ્પોર્ટસ સંકુલથી લઈ શિક્ષણ, ઓવરબ્રિજથી લઈ આરોગ્ય ક્ષેત્રે તેમણે વિશેષ યોગદાન આપ્યું છે.
આ પણ વાંચો----- S Jaishankar : પાકિસ્તાન અને ચીનને તો….!