આમ આદમી પાર્ટીમાં All is not well, સુરતમાં વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાશે
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરતના બે કોર્પોરેટર કનુ ગેડીયા અને અલ્પેશ પટેલ ભાજપ (BJP) માં જોડાઇ ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બંને કોર્પોરેટરો એ આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર મત માંગ્યા હતા અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં આવગણના થતી હોવાના આક્ષેપો સાથે દેશહિતની ભાવનાને લઈ ભાજપમાં જોડાયા હોવાનું કહી રહ્યા છે. તો અગાઉ ભાજપમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો જોડાયા હતા અને હવે વધુ બે કોર્પોરેટર જોડાતા કુલ 12 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
રાજ્યમાં સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધીમે ધીમે હવે પાર્ટીને છોડી ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. આ પહેલા 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે આજે કનુ ગેડીયા અને અલ્પેશ પટેલ પણ ભાજપનો કેસરીયો ધારણ કરવાના હોવાનું સામે આવી રહ્યું છે. 2024 માં લોકસભાની ચૂંટણી છે તે પહેલા આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ તેમનો સાથ છોડી રહ્યા છે જેનાથી હવે પાર્ટી પડી ભાંગશે તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, પાર્ટીમાં આવગણના થતી હોવાના આક્ષેપો સાથે બંને કોર્પોરેટરે ભારતીય જનતા પાર્ટીની સુરતની કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર કનુ ગેડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં રહીને જ ઓપરેશન ડિમોલેશન ચાલી રહ્યું હતું અને છેલ્લા બે મહિનાથી આ ઓપરેશન ચાલતું હતું અને આ ઓપરેશનના ભાગરૂપે જ અગાઉ છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા અને આજે અમે બે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ અને હજી 10 થી 12 જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.
સુરતના AAP ના કોર્પોરેટર કે જે હવે ભાજપમાં જોડાયા છે.
વોર્ડ નં. 4ના ઘનશ્યામ મકવાણા
વોર્ડ નં. 3ના રુતાબેન ખેની
વોર્ડ નં. 8ના જ્યોતિબેન લાઠીયા
વોર્ડ નં. 2ના ભાવના સોલંકી
વોર્ડ નં. 16ના વિપુલ ભાઈ મોવલિયા
વોર્ડ નં. 17ના સ્વાતિબેન કયાડા
વોર્ડ નં. 5ના નિરાલીબેન પટેલ
વોર્ડ નં. 4ના ધર્મેન્દ્ર બાવળિયા
વોર્ડ નં. 5ના અશોક ધામી
વોર્ડ નં. 5ના કિરણભાઈ ખોખાણી
આજે આ બે કોર્પોરેટર કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ AAP માંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર્સનું સ્વાગત કર્યાની સાથે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, AAP ની જે નીતિ-રીતિ રહી છે તે ગુજરાતને અને ગુજરાતીઓને બદનામ કરનારી રહી છે, ગુજરાતનો વિકાસ આગળ વધારવા માટે AAP ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના લોકો ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો - આમ આદમી પાર્ટીને મોટો ફટકો, 10 કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા