Ahmedabad : સિવિલ હોસ્પિટલ વહી અંગદાનની સરવાણી, 24 કલાકમાં થયા ત્રણ અંગદાન
- હોળી-ધુળેટીના પવિત્ર દિવસે દાનની સરવાણી વહી
- 24 કલાકમાં કુલ ત્રણ અંગદાન થયા છે
- અત્યાર સુધીમાં કુલ 600 અંગોનું દાન મળેલ છે : ડો. રાકેશ જોષી
Ahmedabad : સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ ત્રણ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 600 અંગોનું દાન મળેલ છે. જેના થકી 582 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 334 કિડની, લીવર 160 , 58 હ્રદય, 30 ફેફસા, 9 સ્વાદુપિંડ, બે નાના આંતરડા , પાંચ સ્કીન અને 124 આંખોનું દાન મળ્યું છે. પ્રેમ અને રંગોના પ્રતિક સમાન હોળી ધુળેટીના તહેવારમાં પોતાના વ્હાલ્સોયા સ્વજનના અંગોના દાન થકી આ ત્રણ અંગદાતા પરીવારજનોએ કુલ 9 લોકોને અંગદાન થકી અને 4 લોકોને આંખોનું દાન આપી તેમના જીવનમાં નવા રંગો પુર્યા છે.
પ્રથમ અંગદાન
55 વર્ષના વયોવૃદ્ધ પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી. તારીખ 10 માર્ચના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન 14 માર્ચના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દી બ્રેઇન ડેડ હોવાનું પરીવારજનોને જણાવતા પરિવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના અંગદાનથી બે કીડની અને બે આંખોનુ દાન મળ્યુ છે. બીજા કિસ્સામાં મુળ જુનાગઢના 55 વર્ષીય કરશનભાઇ બાતાને અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને પ્રથમ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ જુનાગઢની પ્રાઇવેટ હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર અર્થે તારીખ 12 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.14.3.2025 ના રોજ ડોક્ટરોએ કરશનભાઇને બ્રેઈનડેડ જાહેર કરી પરિવારજનોને આવી પરીસ્થિતીમાં અંગદાનનું મહ્ત્વ જણાવી અંગદાન કરવા સમજાવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર કરશનભાઇના પત્ની અને એકના એક દીકરાએ અંગદાનના આ પવિત્ર કાર્ય માટે હામી ભરી પરોપકારી ઉમદા નિર્ણય કર્યો હતો. કરશનભાઇના અંગદાનથી 2 કીડની તેમજ એક લીવરનું દાન મળ્યુ છે.
ત્રીજુ અંગદાન
મહેમદાવાદ ખેડાના રહેવાસી 52 વર્ષીય નગીનભાઇ પરમારને તારીખ 9 માર્ચના રોજ મગજની નસ ફાટતા પોતાના ઘરે બેભાન થઇ ઢ્ળી પડતા પ્રથમ મહેમદાવાદ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ નડીયાદ સિવિલ અને પછી વધુ સારવાર અર્થે તારીખ 9 માર્ચની સાંજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે નગીનભાઇ બ્રેઇન ડેડ થતા તે અંગેની જાણ તારીખ 14.03.2025ના રોજ પરિવારજનોને કરી હતી. અંગદાન વિશે સમજાવતા તેમના પુત્ર અને અન્ય તમામ પરિવારજનોએ નગીનભાઇના જે પણ અંગો કોઇ બીજાના કામમાં આવે તેવા હોય તે લઇ શક્ય તેટલા લોકોનો જીવ બચાવવાનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. નગીનભાઇના અંગદાનથી હ્રદય, બે કીડની તેમજ એક લીવર તથા બે આંખો નુ દાન મળ્યુ છે.
અહેવાલ : સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો: Rashifal 16 માર્ચ 2025: રવિવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં આ રાશિના લોકોને સંપત્તિમાં અનેકગણો લાભ મળશે