RAJMATA : એક એવી સિંહણ, જેણે અઢી દાયકામાં લીલીયા પંથકમાં પોતાનું સામ્રાજ્ય ખડું કર્યું, વાંચો રસપ્રદ અહેવાલ
અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય ને સિંહોના સામ્રાજ્યમાં એક એવી સિંહણ જેણે પોતાની અલગ ઓળખ ઊભી કરીને રાજમાતા તરીકે સ્થાપિત થઈને નવું બૃહદ ગીરનું જંગલ સ્થાપિત કર્યું હતું. રાજમાતા સિંહણે લીલીયા વિસ્તારના ક્રાંકચમાં સાવજોનું અલગ સામ્રાજ્ય ઉભું કર્યું હતું અને રાજમાતા સિંહણના અવસાન બાદ આ વિસ્તારના સિંહ પ્રેમીઓએ રાજમાતા સિંહણની પ્રતિમા પોતાના ખર્ચે સ્થાપિત કરી છે.
રાજમાતાએ સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યું
અમરેલી જિલ્લાના લીલીયા પંથકના ક્રાંકચ ગામમાં શેત્રુંજી નદીના કાંઠે 1999 માં પ્રથમવાર એક સિંહણ જોવા મળી અને આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું અને આગળ જતાં આખું લીલીયા પંથકમાં બૃહદ ગીર સ્થપાયું. રાજમાતાના નામથી પ્રચલિત બનેલી આ સિંહણે સમગ્ર વિશ્વમાં મુકત વિહરતી સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતુ....
રાજમાતાએ અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજય બનાવ્યું
ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજય બનાવનાર રાજમાતા સિંહણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામા ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને તેથી ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમા તેની પ્રતિમાનુ સ્થાપન કર્યુ છે. રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિંહ પ્રેમીઓમાં અકબંધ જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવા પોતાના ખર્ચે ક્રાંકચના બવાડી નજીક ઊંચા ટેકરા પર રાજમાતાનું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું છે.
રાજમાતાના નામે 3 વિશ્વ વિક્રમ છે
લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં રાજમાતા સિંહણે સાવજ કુળને વિસ્તારીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયુ છે અને રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતુ. રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તેવુ કામ ગામ લોકોએ કર્યુ છે. રાજમાતાના નામે 3 વિશ્વ વિક્રમ છે તેમાં સૌથી વધુ 19 વર્ષનુ આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ ઉપરાંત મુકત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાંને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતા સિંહણના નામે છે. તેણે જીવનકાળમા 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ મનાવ્યો હતો.
રાજમાતાના કારણે 53 સાવજ વસ્યા
આજે લીલીયા વિસ્તારમાં 53 સાવજો વસ્યા તે રાજમાતાની દેન હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહ્યા છે ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020માં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવેલ ત્યારે કરવામાં આવ્યો હતો. આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ જોશી, ડો. જલપાન રૂપાપરા, ડો. પૂર્વેશ કાચા, ભરતભાઈ ખાચર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા ક્રાંકચ લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
સૌથી ઊંચી ટેકરીઓ પર રાજમાતાનું સ્મારક
સિંહોના સામ્રાજ્યમાં સિંહોની આગવી ઓળખ ઉભી કરવામાં અને ત્રણ ત્રણ વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર રાજમાતા સિંહણનું કાયમી સ્મૃતિ ચિન્હ બવાડી ડુંગર વિસ્તારની સૌથી ઊંચી ટેકરીઓમાં કરવામાં આવ્યું છે ને જે ડુંગર રાજમાતાના મનપસંદ વિશ્રામ સ્થાનોમાંનું એક હતું ત્યાં કાયમી સ્મૃતિ ઊભી સિંહ પ્રેમીએ કરી છે . આ સ્મારક બે કિમી દૂરથી દેખાય છે.
આ પણ વાંચો----KUTCH : રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં કચ્છ બનશે ભાગીદાર